ગાંધીનગર ખાતે કેબિનેટ બેઠકમાં ઓબીસી સમાજની અનામત 27 ટકા રાખવાના નિર્ણય બાદ કોંગ્રેસ પક્ષના વિપક્ષના નેતા અમિત ચાવડાએ ભાજપ સરકાર પર આકરા પ્રહાર કર્યા હતા. કોંગ્રેસ નેતા અમિત ચાવડાએ જણાવ્યું હતું કે સરકારને રાજકીય રીતે ફાયદો થાય તે રીતે અનામત જાહેર કરી છે. સમાજના હિતમાં સરકારે નિર્ણય કરેલ નથી. ઓબીસી કમીશન મામલે સુપ્રીમ કોર્ટ જાહેર કરેલા સૂચનો અને આદેશોને રાજ્ય સરકાર ગોળીને પી ગયુ હોય તેમ નિર્ણય જાહેર કરેલ છે.
અમિત ચાવડાએ કહ્યું કે, આ ઉપરાંત સરકાર ઝવેરી કમીશન પંચ દ્વારા જાહેર કરેલ ભલામણો સત્તાવાર રીતે પ્રજા વચ્ચે જાહેર કરે એટલે ખ્યાલ આવે કે સરકારે કેટલો ઓબીસી સમાજને અન્યાય કરેલ છે.સરકાર અત્યાર સુધી ઓબીસી સમાજને વસ્તીના આધારે બજેટ ફાળવતું ન હતું, પરંતુ હવે સ્થાનિક સ્વરાજ્ય સંસ્થાઓની ચૂંટણીમાં પણ અનામત મામલે ઓબીસી સમાજને અન્યાય કર્યો છે.
કોંગ્રેસની માંગ છે કે જે જિલ્લામાં કે તાલુકામાં ઓબીસી સમાજની વસ્તી વધુ છે ત્યાં અનામતની ટકાવારી વધારવી જોઈએ, જ્યારે જે આદિવાસી જિલ્લામાં ઓબીસી સમાજની વસ્તીઓ ઓછી હોય તો ત્યાં ઓબીસી સમાજની ટકાવારી ઓછી કરવી જોઇએ. સરકાર તેમને રાજકીય રીતે ફાયદો થાય તેવો નિર્ણય જાહેર કરેલ છે. સરકારના આ નિર્ણયને કોંગ્રેસ પક્ષ ફગાવી રહ્યો છે. આગામી દિવસોમાં કોંગ્રેસ પક્ષ આ મામલે રાજકીય, કાયદાકીય રીતે લડત આપશે. કોંગ્રેસ દ્વારા સ્વાભિમાન આંદોલન શરૂ કરવામાં આવશે અને દરેક જિલ્લાના રસ્તાઓ પર આ આંદોલન પહોંચશે.