સ્પર્ધાના વિજેતાઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ, ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રી પ્રફુલ પાનસેરિયા, ‘સેવ કલ્ચર સેવ ભારત’ ફાઉન્ડેશનના સંસ્થાપક ઉદય માહુરકર, કુલપતિ, ગુજરાત યુનિવર્સીટી ડો. નિરજાબેન ગુપ્તાના હસ્તે ‘બેસ્ટ સાંસ્કૃતિક સ્પીકર ઑફ ગુજરાત’નો એવોર્ડ અને પુરસ્કાર એનાયત થશે
અમદાવાદ
ગુજરાત યુનિવર્સિટી સેનેટ હોલ ખાતે આવતીકાલે ત્રણ વાગે રાજ્યકક્ષાની ‘ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા’નું આયોજન કરવામાં આવ્યું છે.સ્પર્ધાના વિજેતાઓને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ, ઉચ્ચ શિક્ષણ મંત્રી ઋષિકેશભાઈ પટેલ અને શિક્ષણ રાજ્યમંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, ‘સેવ કલ્ચર સેવ ભારત’ ફાઉન્ડેશનના સંસ્થાપક ઉદયભાઈ માહુરકર, કુલપતિ, ગુજરાત યુનિવર્સીટી ડો. નિરજાબેન ગુપ્તાના હસ્તે ‘બેસ્ટ સાંસ્કૃતિક સ્પીકર ઑફ ગુજરાત’નો એવોર્ડ અને પુરસ્કાર એનાયત થશે.રાષ્ટ્રીય સેવા યોજના, ઉચ્ચ શિક્ષણ વિભાગ,ગુજરાત સરકાર અને ‘સેવ કલ્ચર સેવ ભારત’ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે આયોજન કરાયું છે.વિકસિત ભારત, ભવ્ય ભારત અને દિવ્ય ભારતના સંકલ્પ સાથે આદરણીય પ્રધાનમંત્રીશ્રી નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ભારત હરણફાળ ભરી રહ્યું છે. આ સમયે ગુણવંતી ગુજરાતમાં સંસ્કૃતિપ્રેમી પ્રજાવત્સલ માન. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ, ‘સેવ કલ્ચર સેવ ભારત’ ફાઉન્ડેશનના સંસ્થાપક ઉદય માહુરકરની પાવન પ્રેરણાથી કોલેજના યુવા વિધાર્થીઓંમાં ચારિત્ર્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ અંગે જાગૃતિ લાવવા અને વકતૃત્વ – નેતૃત્વ કળાના ગુણોને વિક્સાવવા આ સ્પર્ધાનું મોટા પાયે આયોજન કરવામાં આવેલ છે.ગુજરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણ વિભાગ હેઠળના રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ અને ‘સેવ કલ્ચર સેવ ભારત’ ફાઉન્ડેશનના સંયુક્ત ઉપક્રમે તા. ૧૪મી ફેબ્રુઆરીના રોજ ગુજરાત યુનિવર્સિટી ખાતે રાજયકક્ષાની ‘ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા’ ઝુઓંલોજી ભવન, ગુજરાત યુનિવર્સીટી ખાતે સવારે ૯ કલાકે યોજાશે.
અત્રે ઉલ્લેખનીય છે કે, ‘ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા’ની પ્રથમ તબક્કાની કૉલેજ સ્પર્ધાનું આયોજન જાન્યુઆરી માસમાં કરવામાં આવેલું, જેમાં 603 કૉલેજોમાંથી 5500 કરતાં વધુ સ્પર્ધકોએ ભાગ લીધો હતો. આ સ્પર્ધામાં પ્રથમ નંબરે આવેલા વિજેતાઓ વચ્ચે ઝોનકક્ષાની સ્પર્ધા યોજાઇ હતી. 11 ઝોન અને ૩૩ જિલ્લામાં યોજાયેલી ઝોન કક્ષાની સ્પર્ધામાં પ્રથમ બીજા અને ત્રીજા ક્રમે આવનારા સ્પર્ધકો વચ્ચે તારીખ 14 ફેબ્રુઆરીના રોજ રાજ્ય કક્ષાની સ્પર્ધા યોજાશે.’ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા’ની રાજયકક્ષા સ્પર્ધામાં પ્રથમ ક્રમે વિજેતા થનાર વિદ્યાર્થીને ₹1,00,000નો પુરસ્કાર અને ‘બેસ્ટ સાંસ્કૃતિક સ્પીકર ઑફ ગુજરાત’ના એવોર્ડથી સન્માનિત કરવામાં આવશે, જ્યારે દ્વિતીય ક્રમાંકે આવનાર વિદ્યાર્થીને ₹71,000 અને તૃતીય ક્રમાંકે આવનાર વિદ્યાર્થીને ₹51,000નો પુરસ્કાર આપવામાં આવશે. એ જ રીતે ઝોન કક્ષા અને કૉલેજ કક્ષાના પ્રથમ, દ્વિતીય અને તૃતીય ક્રમના વિજેતાઓને પણ અલગ અલગ એવોર્ડ અને કેશ પ્રાઇઝથી સન્માનવામાં આવશે.’ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધા’માં સ્વચ્છ સાયબર ભારત, ચારિત્ર્ય નિર્માણથી રાષ્ટ્ર નિર્માણ, શીલ સંસ્કૃતિ અને સદાચાર રક્ષા, વર્તમાન સમયની અનિવાર્યતા-મૂલ્ય શિક્ષણ, રાષ્ટ્રીય સેવા યોજના : એક ભારત-શ્રેષ્ઠ ભારત જેવા વિવિધ 5 વિષયો નક્કી કરવામાં આવ્યા હતા. જેમાંથી ભાગ લેનારા સ્પર્ધકોએ કોઈ એક વિષય પર પોતાનું વક્તવ્ય રજૂ કરવાના હોય છે.
ભારતીય સંસ્કૃતિનાં મૂલ્યોના સંરક્ષણ અને સંવર્ધન માટે યુવા પેઢી જાગૃત થઇ ચિંતન – મનન અને આચરણના પથ પર આગળ વધે તેવા ઉદ્દેશથી ગુજરાત રાજ્યના ઉચ્ચ શિક્ષણ કચેરીના રાષ્ટ્રીય સેવા યોજના વિભાગ અને ‘સેવ કલ્ચર સેવ ભારત’ ફાઉન્ડેશનના ઉપક્રમે NSS સંલગ્ન કોલેજોના વિધાર્થીઓં માટે ગુજરાત સાંસ્કૃતિક વક્તૃત્વ સ્પર્ધાનું આયોજન કરવામાં આવેલ હતું.ગુજરાતના કોલેજના યુવાનો દ્વારા ઉત્સાહસભર આ સ્પર્ધામાં ભાગ લઇ ચારિત્ર નિર્માણ થી રાષ્ટ્ર નિર્માણ જેવા વિષયો ઉપર ક્રાંતિકારી – પથદર્શક વિચારો પ્રસ્તુત કરવામાં આવ્યા હતા.