ગાંધીનગરના કોલવડા ગામમાં આવેલ રાંગળી માતાના મંદિરે દર્શન કરવાના મુદ્દે ગામના પાંચ ભાઈઓએ રીક્ષા ચાલકને ગડદાપાટુ- લોખંડની પાઈપ વડે ઢોર માર માર્યો હતો. તેમજ એસિડ એટેક કરવામાં આવ્યો હોવાની ફરિયાદ પેથાપુર પોલીસ મથકના ચોપડે નોંધવામાં આવી છે. આ હુમલામાં આંખોનો ભાગ, ચહેરો – બરડો ગંભીર રીતે દાઝી જતાં રીક્ષા ચાલકને સારવાર અર્થે ખસેડવામાં આવ્યો છે.
ગાંધીનગરના કોલવડા ગામમાં રીક્ષા ચાલક ઉપર એસીડ વડે હૂમલો કરવામાં આવતાં ચકચાર મચી ગઈ છે. મંદિરે દર્શન નહીં કરવા આવવાનું કહીને પાંચ શખ્સોએ હિચકારો હુમલો કરતા રીક્ષા ચાલકને આંખે દેખાતું પણ બંધ થઈ ગયું હોવાની ફરિયાદ ઉઠી છે.
કોલવડા વાલ્મીકી વાસમાં રહેતાં રાજેન્દ્રભાઈ વાસુદેવભાઈ ચૌહાણ રીક્ષા ચલાવી પરિવારનું ગુજરાન ચલાવે છે, ગઈકાલે સાંજના આશરે છ વાગ્યા અરસામાં રાજેન્દ્રભાઈ મહોલ્લાની પાછળ આવેલ રાંગળી માતાના મંદીર પાસે દર્શન કરવા ગયા હતા. તે દરમિયાન ગામના પરમાર વાસમા રહેતા દીનેશભાઇ મનુભાઈ પરમાર તેમની પાસે ગયો હતો અને કહેવા લાગેલ કે, તું અહીં દર્શન કરવા કેમ આવે છે. તારે અહીં દર્શન કરવા નહીં આવવાનું કહી ગાળો બોલવા લાગ્યો હતો. બાદમાં રાજેન્દ્રભાઈને ગડદાપાટુનો માર મારી પોતાના ઘરેથી લોખંડની પાઈપ લઈ આવ્યો હતો.
પાઈપ રાજેન્દ્રભાઈને છાતી-બરડામાં મારી હતી. જેથી રાજેન્દ્રભાઈ નીચે પડી જતાં પાઈપ માથામાં વાગી હતી. એ અરસામાં દિનેશના ભાઈઓ પ્રિતેશ ઉર્ફે ચીકુ અશોકભાઈ પરમાર, અજય અશોકભાઈ પરમાર તથા નરેશભાઈ મનુભાઈ પરમાર ત્યાં પહોંચી ગયા હતા. બાદમાં બધા ભેગા મળીને રાજેન્દ્રભાઈને ફરી વળ્યા હતા. ત્યારે પ્રિતેશ ઉર્ફે ચીકુ એસિડની બોટલ લઈ આવ્યો હતો. હજુ રાજેન્દ્રભાઈ કઈ સમજે એ પહેલાં જ તેણે એસિડ એટેક કર્યો હતો.
આ હુમલામાં રાજેન્દ્રભાઈને આંખે દેખાતું બંધ થઈ ગયું હતું. તેમજ ચહેરો – બરડાનો ભાગ પણ દાઝી ગયો હતો. બાદમાં અન્ય લોકો એકઠા થઈ જતાં પાંચેય જણા ‘હવે તુ અહી આવીશ તો તને જાનથી મારી નાખીશુ’ તેમ કહી ત્યાથી ભાગી ગયા હતા. આ હુમલાના પગલે ગંભીર રીતે દાઝી ગયેલા રાજેન્દ્રભાઈને 108 એમ્બ્યુલન્સ મારફતે ગાંધીનગર સિવિલ હોસ્પિટલ સારવાર અર્થે ખસેડવામાં આવ્યા હતા. આ અંગે પેથાપુર પોલીસે પાંચેય ભાઈઓ વિરુદ્ધ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.