લોકસભાના ભાજપના ઉમેદવાર પુરુષોત્તમ રૂપાલા દ્વારા કરવામાં આવેલા વિવાદાસ્પદ નિવેદનને લઈ ક્ષત્રિય સમાજ દ્વારા ઠેર-ઠેર વિરોધ પ્રદર્શન અને કાર્યક્રમો કરવામાં આવી રહ્યા છે. ત્યારે ગુજરાત કરણી સેનાના અધ્યક્ષ રાજ શેખાવતે આજે બપોરે ૨ વાગ્યે કમલમ ખાતે કેસરી ઝંડા અને મજબૂત દંડા સાથે ક્ષત્રિયોને વિરોધ પ્રદર્શન માટે જાેડાવવા કહ્યું છે. રાજ શેખાવત જયપુરથી અમદાવાદ એરપોર્ટ પહોંચી ગયા છે. તેઓને અહીં જ નજરકેદ કરવામાં આવ્યા હતા. બાદમાં પોલીસે તેમની અટકાયત કરી લીધી છે અને હેડ ક્વાર્ટર લઈ જવામાં આવી રહ્યા છે. ક્રાઈમ બ્રાન્ચની ટીમ દ્વારા રાજ શેખાવતની અટકાયત કરવામાં આવી હતી. અટકાયત દરમિયાન શેખાવતની પોલીસ સાથે બોલાચાલી થઈ હતી. તેમજ પોલીસવાનમાં બેસાડવા જતા પોલીસકર્મીથી પાઘડી ઊતરી જતા તેઓ ગુસ્સે થયા હતા અને બૂમાબૂમ કરી હતી. અટકાયત પહેલા એરપોર્ટથી રાજ શેખાવતે એક વીડિયો બનાવ્યો હતો. તેઓએ જણાવ્યું હતું કે, હું જયપુરથી આવ્યો છું, અમદાવાદ એરપોર્ટ પર બેઠો છું. બહાર પોલીસ બંદોબસ્ત ગોઠવી દીધો છે. મને આત્મવિલોપન કરવા મજબૂર ન કરો.