પાકિસ્તાનના બલૂચિસ્તાનમાં આતંકવાદીઓએ 23 લોકોને મોતને ઘાટ ઉતાર્યા છે. દક્ષિણ પશ્ચિમ પાકિસ્તાનમાં બંદૂકધારીઓએ 23 લોકોને બળજબરી વાહનમાંથી ઉતારીને ગોળી મારી હતી.
આતંકવાદીઓએ બલૂચિસ્તાન પ્રાંતમાં મુસાખાઇલ જિલ્લામાં કેટલીક બસ, ટ્રક અને વેનને રોકી હતી. આતંકીઓએ લોકોને જાતીય ઓળખ પૂછીને ગોળી મારી હતી. આ ઘટનામાં પાંચ લોકો ઘાયલ પણ થયા છે.
મુસાખાઇલના એક સીનિયર અધિકારી નજીબુલ્લાહ કાકરે જણાવ્યું કે પંજાબને બલૂચિસ્તાન સાથે જોડનારા રાજમાર્ગ પર આતંકવાદીઓએ કેટલીક બસ, ટ્રક અને વેનને રોકી હતી. આ દરમિયાન 23 લોકોને મોતને ઘાટ ઉતારવામાં આવ્યા છે. પંજાબથી આવતા જતા વાહનોની તપાસ કરવામાં આવી હતી અને પંજાબથી આવેલા લોકોની ઓળખ કરીને તેમને ગોળી મારવામાં આવી હતી.