સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં ૧૭૭ બ્રેઇન ડેડ વ્યક્તિના અંગદાન થકી ૫૫૮ જરૂરીયાતમંદને જીવનદાન
અમદાવાદ
અમદાવાદ સિવિલ હોસ્પિટલ માં તા.૧૦/૦૨/૨૦૨૫ ના રોજ ૧૭૭મુ અંગદાન થયું. આ અંગદાનની વિગતો જોઈએ તો, દહેગામના રણાસણ ગામના વતની ચંપાબેન રાઠોડ તારીખ ૪ ફેબ્રુઆરીના રોજ રોજીંદા મજુરી કામે જતા બાઇક સ્લીપ થતા માથાના ભાગે ગંભીર ઇજા થઇ હતી. તા.૦૪/૦૨/૨૦૨૫ ના રોજ સારવાર અર્થે સિવિલ હોસ્પિટલ અમદાવાદ ખાતે લાવવામાં આવ્યા હતા. સિવિલ હોસ્પિટલમાં આઈ.સી.યુ માં સધન સારવાર દરમિયાન તા.૧૦.૦૨.૨૦૨૫ ના રોજ ડૉક્ટરોએ ચંપાબેનને બ્રેઈનડેડ જાહેર કર્યા હતા.
સિવિલ હોસ્પિટલ ના ડોક્ટરોની ટીમે ચંપાબેન રાઠોડ ના પરિવારજનોને પ્રથમ તેમની બ્રેઈન ડેડ અવસ્થા વિશે વિગતે સમજણ આપી અને બ્રેઈન ડેડ થયેલ દર્દી મેડીકલ વિજ્ઞાનની ભાષામાં મ્રુત્યુ પામેલુ જ હોઈ આવી પરિસ્થિતીમા ચંપાબેન ફરીથી બેઠા થઈ શકે તેમ ન હોઈ ચંપાબેનના અંગોના દાન વિશે સમજાવ્યું. તેમના પતિ સનાજી તેમજ બે દિકરા રોહીતભાઈ અને દિપકભાઈ એ પરોપકાર ભાવ સાથે ઇશ્વર ને ગમ્યુ તે ખરુ તેમ સમજી ડોક્ટરોએ સમજાવ્યા પ્રમાણે અંગો ના દાન થકી બીજા જરુરીયાતમંદની જીંદગી બચાવવાનો પરોપકારી ર્નિણય લીધો..
અમદાવાદ સિવિલ હોસ્પિટલનાં તબીબી અધિક્ષક ડૉ. રાકેશ જોષી એ જણાવ્યું હતું કે, આ અંગદાન થકી સિવિલ હોસ્પિટલ દ્વારા અત્યાર સુધીમાં કુલ ૫૭૯ અંગોનું દાન મળેલ છે. જેના થકી ૫૫૮ વ્યકિતઓને જીવનદાન મળ્યુ છે. દાનમાં મળેલ એક હૃદય અમદાવાદ શહેર ની ઝાયડસ હોસ્પિટલમાં તેમજ બે કિડની અને એક લીવરને સીવીલ મેં ડીસીટી કેમ્પસની કિડની હોસ્પિટલમાં જરૂરિયાતમંદ દર્દીમાં પ્રત્યારોપણ કરવામાં આવશે.