નવી દિલ્હી: ભારત અને પાકિસ્તાન વચ્ચે છેલ્લા કેટલાક દિવસોથી ચાલી રહેલો ભીષણ તણાવ હવે સમાપ્ત થવા જઈ રહ્યો છે. આ ક્ષેત્ર માટે એક મોટા અને રાહતભર્યા સમાચાર સામે આવ્યા છે, જેમાં ભારત સરકારે સત્તાવાર રીતે પાકિસ્તાન સાથે યુદ્ધ વિરામ (સીઝફાયર) ની પુષ્ટિ કરી છે.
ભારત સરકારે શનિવારે સાંજે સત્તાવાર રીતે પુષ્ટિ કરી છે કે ભારત અને પાકિસ્તાન વચ્ચે યુદ્ધ વિરામ લાગુ કરવામાં આવ્યો છે.
આ યુદ્ધ વિરામનો અમલ આજે સાંજે ૫:૦૦ વાગ્યાથી શરૂ થઈ ગયો છે. આ નિર્ણય સાથે, બંને દેશો વચ્ચે તાજેતરમાં વધેલા સૈન્ય તણાવનો અંત આવવાની આશા સેવાઈ રહી છે.
ભારત અને પાકિસ્તાન વચ્ચે ગોળીબાર અને લશ્કરી કાર્યવાહી બંધ કરવાના નિર્ણય અંગે અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કરેલા દાવાઓ બાદ ભારત સરકારે સ્પષ્ટતા કરી છે. ટ્રમ્પે દાવો કર્યો હતો કે અમેરિકાની મધ્યસ્થીથી બંને દેશો વચ્ચે યુદ્ધવિરામ કરાર થયો છે. તેમણે X (અગાઉ ટ્વિટર) પર પોસ્ટ કરતા જણાવ્યું હતું કે, “યુનાઇટેડ સ્ટેટ્સ દ્વારા મધ્યસ્થી કરાયેલી લાંબી રાતની વાટાઘાટો પછી, મને જાહેરાત કરતા આનંદ થાય છે કે ભારત અને પાકિસ્તાન સંપૂર્ણ અને તાત્કાલિક યુદ્ધવિરામ માટે સંમત થયા છે. બંને દેશોને અભિનંદન. આ બાબત પર ધ્યાન આપવા બદલ આભાર.”
જોકે, ભારત સરકારના ટોચના સૂત્રો દ્વારા આ અંગે પુષ્ટિ કરવામાં આવી છે કે યુદ્ધવિરામનો નિર્ણય બંને દેશો વચ્ચે સીધો લેવામાં આવ્યો હતો. વિદેશ મંત્રાલયના સચિવ વિક્રમ મિશ્રીએ આ અંગે માહિતી આપતાં જણાવ્યું હતું કે, આજે શનિવાર (૧૦ મે, ૨૦૨૫) બપોરે પાકિસ્તાનના ડીજીએમઓએ (ડિરેક્ટર જનરલ ઑફ મિલિટરી ઓપરેશન્સ) ફોન કરીને પહેલ કરી હતી. ત્યારબાદ બંને દેશો વચ્ચે ચર્ચા થઈ હતી અને સર્વસંમતિ સધાઈ હતી. મિશ્રીએ સ્પષ્ટ કર્યું કે, “અન્ય કોઈ સ્થળે અન્ય કોઈ મુદ્દા પર વાતચીત કરવાનો કોઈ નિર્ણય લેવામાં આવ્યો નથી.” આ નિવેદન ટ્રમ્પના મધ્યસ્થીના દાવાને રદિયો આપે છે.
બીજી તરફ, પાકિસ્તાનના વિદેશ મંત્રી ઇશાક ડારે પણ X પર પોસ્ટ કરીને પુષ્ટિ કરી હતી કે પાકિસ્તાન અને ભારત તાત્કાલિક અસરથી યુદ્ધવિરામ પર સંમત થયા છે. જોકે, તેમની પોસ્ટમાં ભારતીય પ્રદેશ પર હુમલો કરવાના નિષ્ફળ પ્રયાસો માટે કોઈ માફી માંગવામાં આવી ન હતી. તેમણે વધુમાં દાવો કર્યો હતો કે પાકિસ્તાન હંમેશા તેની સાર્વભૌમત્વ અને પ્રાદેશિક અખંડિતતા સાથે કોઈ સમાધાન કર્યા વિના ક્ષેત્રમાં શાંતિ અને સુરક્ષા માટે પ્રયત્નશીલ રહ્યું છે.