વડોદરા શહેરના 38 બ્રિજનું ક્વોલીટી ટેસ્ટિંગ શરૂ, ડેન્સિટી 20થી ઓછી હશે તો કોન્ક્રીટ ખરાબ ગણાશે

Spread the love

 

ગત વર્ષે આવેલા વિનાશક પૂરમાં પાલિકાની અનેક મિલકતોને ભારે નુકસાન થયું હતું. ત્યારે સરકારના આદેશ મુજબ પાલિકા દ્વારા આ વર્ષે ચોમાસા પૂર્વે શહેરના 38 બ્રિજનું ચેકિંગ કરાઈ રહ્યું છે. સરકાર માન્ય 2 એજન્સી દ્વારા રોજ 2 બ્રિજમાં કોન્ક્રીટ ડેમેજ છે કે કેમ તે અંગેની મશીનથી ચકાસણી થશે. 10 દિવસમાં ચેકિંગ કરી 15 જૂન સુધી સરકારમાં રિપોર્ટને અપાશે. સોમવારે અમિતનગર અને સમા બ્રિજનું ચેકિંગ કરાયું હતું. રાજ્ય સરકારની સૂચના મુજબ દર વર્ષે પાલિકા તમામ બ્રિજ અને નાળાનું પ્રિ-ઓડિટ કરે છે. રાજ્ય સરકારે માન્ય કરેલી મેકવેલ અને ડેલ્ફા નામની એજન્સી દ્વારા શહેરનાં 9 મોટાં નાળાં, રેલવે અને રિવર ઓવરબ્રિજ તથા ફ્લાય ઓવરનું ચોમાસા પહેલાંનું પ્રિ-ચેકિંગ કરવાનું શરૂ કરાયું છે. એજન્સીઓના 8-8 એન્જિનિયરો દ્વારા રોજ 2 બ્રિજમાં કોન્ક્રીટ ક્વોલિટી ટેસ્ટ કરાશે. જેમાં કોન્ક્રીટની યુનિફોર્મિટી ચેક કરાશે. તેમાં જો ક્ષતિ મળે તો તેનો રિપોર્ટ તૈયાર કરશે. જેમાં જો બ્રિજમાં કોઈ ખામી હોય તો તે અંગે પાલિકા સરકારને જાણ કરી સમારકામ કરાવશે.

મોરબી કાંડ બાદ શહેરના 38 ફ્લાયઓવર, રેલવે બ્રિજ અને નાળાનું ઓડિટ કર્યું હતું. જેમાં કમાટીબાગમાં હરણ ખાના તરફના લોખંડના બ્રિજમાં ક્ષતિ જણાતાં તે બંધ કરાયો હતો. તેની જગ્યાએ નવો બ્રિજ બનાવાશે. પાલિકાએ 2 વર્ષ પૂર્વે આપેલા ઓડિટ રિપોર્ટના આધારે સરકારે બ્રિજની સરફેસ ખરાબ હોવાથી રિપેરિંગની સૂચના આપી હતી. જે અંતર્ગત સોમા તળાવ, જેતલપુર, શાસ્ત્રી બ્રિજ, લાલબાગ સહિતના બ્રિજ પર રિસર્ફેસિંગ કરાયું હતું. આધારભૂત સૂત્ર મુજબ શહેરમાં ગત વર્ષે આવેલા વિનાશક પૂર બાદ આજવાના પાળા અને આજવા સરોવરના દરવાજાનું ઓડિટ કરાયું હતું. ચાલુ વર્ષે તાજેતરમાં ગેરી દ્વારા આજવાના ગેટ અને સરોવરના પાળાનું ઓડિટ કરવામાં આવ્યું છે, જેનો રિપોર્ટ પાલિકામાં સબમિટ કરાયો છે. બંને એજન્સી પાલિકાને રિપોર્ટ સબમિટ કરશે. ત્યારબાદ પાલિકા આ રિપોર્ટનું એનાલિસીસ કરીને કયા બ્રિજમાં સમારકામ કરવાની આવશ્યકતા છે તે અંગેનો એક રિપોર્ટ તૈયાર કરાવશે. પાલિકા બ્રિજના રોડ, તેની પેરાફિટના પોપડા પડે, ક્રેક દેખાય, બ્રિજના પિલર, ફૂટપાથ, લાઇટિંગ, પાર્કિંગની જગ્યા અંગેની માહિતી 15 જૂન સુધીમાં સરકારમાં મોકલશે. જે બાદ બ્રિજનું ટેસ્ટિંગ કરી તેનું સમારકામ કરાશે. 1 કોન્ક્રીટ સ્ટ્રક્ચરની ડેન્સિટી માપવા હેમરને પિલર કે સ્ટ્રક્ચર પર મુકાય છે 2 હેમરને દબાવતા જ હેમરમાં રહેલા આંકડા ડેન્સિટી બતાવે છે 3 ડેન્સિટી 20ની ઉપર આવે તો તે સારી ડેન્સિટી કહેવાય 4 અમિતનગર બ્રિજના કોન્ક્રીટની ડેન્સિટી 56ની જોવા મળી હતી

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *