ગુજરાત-યુપી વચ્ચે દોડતી બે સ્પેશિયલ ટ્રેન બંધ કરવામાં આવી,
આગ્રા કેન્ટ અને કાનપુર-અસારવા રૂટની ત્રણ મહિના ચાલેલી સેવા સમાપ્ત કરવામાં આવી,
હિંમતનગરથી બપોરે અસારવા પહોંચતી અને સાંજે પરત ફરતી હતી


સાબરકાંઠા (હિંમતનગર)
નોર્થ સેન્ટ્રલ રેલવે દ્વારા ગુજરાત અને ઉત્તર પ્રદેશ વચ્ચે શરૂ કરવામાં આવેલી બે સ્પેશિયલ ટ્રેન સેવાઓ બંધ કરી દેવામાં આવી છે. આ ટ્રેન સેવાઓ 1 એપ્રિલથી શરૂ કરવામાં આવી હતી અને 1 જુલાઈએ તેમની છેલ્લી ટ્રિપ પૂરી થઈ. આગ્રા કેન્ટ-અસારવા-આગ્રા કેન્ટ રૂટ પર દૈનિક ધોરણે ટ્રેન સેવા ચાલતી હતી. બીજી તરફ, કાનપુર સેન્ટ્રલ-અસારવા-કાનપુર સેન્ટ્રલ રૂટ પર સાપ્તાહિક ટ્રેન સેવા ઉપલબ્ધ હતી. આગ્રા કેન્ટ રૂટની ટ્રેન મુસાફરો માટે વિશેષ સુવિધાજનક હતી. આ ટ્રેન હિંમતનગરથી બપોરે અસારવા પહોંચતી અને સાંજે અસારવાથી પરત ફરતી હતી. મુસાફરો માટે આ સમય અનુકૂળ હોવાથી ટ્રેનમાં સારો એવો ટ્રાફિક જોવા મળતો હતો. આ બંને ટ્રેન સેવાઓ ગુજરાતથી ઉત્તર પ્રદેશના મુખ્ય શહેરો સુધી સીધી કનેક્ટિવિટી પૂરી પાડતી હતી. જો કે, ત્રણ મહિનાના સમયગાળા બાદ આ સ્પેશિયલ ટ્રેનોને એક્સટેન્શન ન મળતાં સેવાઓ બંધ કરવામાં આવી છે.