શ્રીલંકાના પૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની ધરપકડ

Spread the love

 

 

શ્રીલંકાના ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ રાનિલ વિક્રમસિંઘેની પોલીસે સરકારી ભંડોળના દુરુપયોગ બદલ ધરપકડ કરી છે. તેમના પર આરોપ છે કે તેઓ 2023માં રાષ્ટ્રપતિ હતા ત્યારે તેમની પત્ની પ્રોફેસર મૈત્રી વિક્રમસિંઘેના દીક્ષાંત સમારોહમાં હાજરી આપવા લંડન ગયા હતા. આ માટે સરકારી પૈસાનો ઉપયોગ કરવામાં આવ્યો હતો. આ ઉપરાંત તેમના પર સરકારી તિજોરીમાંથી તેમના અંગત અંગરક્ષકને પગાર ચૂકવવાનો પણ આરોપ છે. સમાચાર એજન્સી AFPએ એક પોલીસ અધિકારીને ટાંકીને જણાવ્યું હતું કે, વિક્રમસિંઘે આજે સવારે આ કેસના સંદર્ભમાં પૂછપરછ માટે નાણાકીય ગુના તપાસ વિભાગ (FCID) પહોંચ્યા હતા. FCIDએ તેમને કોલંબો ફોર્ટ મેજિસ્ટ્રેટ સમક્ષ રજૂ કર્યા. આ પછી તેમની ધરપકડ કરવામાં આવી. તેઓ શ્રીલંકાના ઇતિહાસમાં ધરપકડ કરાયેલા પ્રથમ ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ બન્યા છે.
2023માં વિક્રમસિંઘે ક્યુબાની મુલાકાત લીધી હતી. અહીંથી પાછા ફર્યા પછી તેઓ લંડનમાં રોકાયા હતા, જ્યાં તેમણે G-77 સમિટમાં હાજરી આપી હતી. આ સમય દરમિયાન તેઓ અને તેમની પત્ની મૈત્રીએ વોલ્વરહેમ્પ્ટન યુનિવર્સિટીમાં એક કાર્યક્રમમાં હાજરી આપી હતી. વિક્રમસિંઘેએ કહ્યું હતું કે, તેમની પત્નીએ તેમની યાત્રાનો ખર્ચ પોતે ઉઠાવ્યો હતો અને તેમાં કોઈ સરકારી નાણાંનો ઉપયોગ થયો ન હતો. જુલાઈ 2022માં, શ્રીલંકાના તત્કાલીન રાષ્ટ્રપતિ ગોટાબાયા રાજપક્ષેએ ભ્રષ્ટાચાર અને ગેરવહીવટ સામે મહિનાઓ સુધી ચાલેલા વિરોધ પ્રદર્શનો બાદ રાજીનામું આપ્યું હતું. આ પછી, વિક્રમસિંઘે બાકીના કાર્યકાળ માટે રાષ્ટ્રપતિ બન્યા. 2022માં દેશની અત્યાર સુધીની સૌથી ખરાબ નાણાકીય મંદી પછી અર્થતંત્રને સ્થિર કરવાનો શ્રેય વિક્રમસિંઘેને આપવામાં આવે છે. ગયા વર્ષે સપ્ટેમ્બરમાં વિક્રમસિંઘે ડાબેરી એ.કે. દિસાનાયકે સામે ચૂંટણી હારી ગયા હતા, જે બીજા રાઉન્ડમાં ગઈ હતી.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *