

મોડાસા (અરવલ્લી)
અરવલ્લી જિલ્લાના મોડાસા નજીક રાણાસૈયદ ચોકડી પાસે સોમવારે મોડીરાત્રે (18/11/2025, આશરે 1 વાગ્યાના સુમારે) એક અત્યંત કરુણ દુર્ઘટના બની છે. ધનસુરા તરફ જતા રોડ પર પેટ્રોલપંપની સામેથી પસાર થઈ રહેલી એક એમ્બ્યુલન્સમાં અચાનક કોઈ અગમ્ય કારણોસર આગ લાગી હતી, જેમાં સવાર ચાર લોકો જીવતા ભડથું થઈ જતાં સ્થળ પર જ મોત નીપજ્યાં છે. રોડ પર દોડતી એમ્બ્યુલન્સના સીસીટીવી સામે આવ્યા છે.
પ્રાપ્ત પોલીસસૂત્રોની માહિતી મુજબ (મો.ટા. પોલીસ સ્ટેશન અ.મોત. નં-15/2025), મહીસાગર જિલ્લાના લુણાવાડાના રહેવાસી જિજ્ઞેશભાઈ મહેશભાઈ મોચીના તાજા જન્મેલા (ઉં.વ. 1 દિવસ) બાળકને વધુ સારવાર માટે મોડાસાની રિચ હોસ્પિટલથી અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલ ખાતે લઈ જવામાં આવી રહ્યું હતું ત્યારે આ ગોઝારી ઘટના બની હતી. એમાં એમ્બ્યુલન્સના પાછળના ભાગમાં બેઠેલા ચાર લોકો સળગી જતાં મૃત્યુ પામ્યા હતા.
પાલિકાના ફાયર અધિકારી હેમરાજ વાઘેલાએ જણાવ્યું હતું કે રાતના 1.40 કલાકે 101 નંબર પર કોલ આવ્યો હતો કે એક એમ્બ્યુલન્સમાં આગ લાગેલી છે રાણાસૈયદ પાસે, મોડાસા નગરપાલિકાની ફાયર વિભાગની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી હતી અને આગ પર કાબૂ મેળવ્યો હતો. એમાં 3 લોકોનાં મૃત્યુ થયાં હતાં, જેમાં એક ભાઈ, એક બહેન અને એક બાળક હતાં. એમ્બ્યુલન્સ ઓરેન્જ હોસ્પિટલ અમદાવાદની હોવાનું માલૂમ પડ્યું છે, જોકે ફાયર અધિકારીના નિવેદનના ગણતરીના કલાકો બાદ મૃતક નવજાત બાળકનો પિતાનું પણ મોત થયાનું સામે આવ્યું હતું.
ગોઝારી આગમાં ભાઈ અને ભત્રીજાને ગુમાવનાર અને દાઝી ગયેલા ગૌરાંગ મોચીએ જણાવ્યું હતું કે, મોડાસાથી અમે નીકળ્યા તો ઓરેન્જ હોસ્પિટલનું એડ્રેસ આપેલું હતું. અમદાવાદથી ઓરેન્જ હોસ્પિટલે એમ્બ્યુલન્સ મોકલી હતી. જેમાં અમે અહીં(મોડાસા)થી નીકળ્યાં હતાં. એ વચ્ચે આવો આગ લાગવાનો બનાવ બન્યો છે.
ઘટના અંગે વિગતે વાત કરતાં ગૌરાંગ મોચીએ કહ્યું કે, લુણાવાડાથી અમે મોડાસા જવા નીકળ્યા હતા, રિયાન્સ હોસ્પિટલ ત્યાંના ડોક્ટરે અમને મોડાસાનું એડ્રેસ આપ્યું કે મોડાસા જતાં રહો, અહીં દવાખાનામાં સારવાર કરી, રિપોર્ટ કરાવ્યાં અને સાહેબે અમને એવું કહ્યું કે અમદાવાદ લઈ જાવ. અમદાવાદની ઓરેન્જ હોસ્પિટલથી ગાડી (એમ્બ્યુલન્સ ) મોકલી હતી. અમે તેમાં બેસીને મોડાસાથી નીકળ્યાં હતાં રસ્તામાં આગ લાગી. તેમાં મારો ભાઈ, ડોક્ટર, નર્સ અને નાનું બાળક દાઝી ગયાં. મારી મમ્મી, ડ્રાઈવર અને હું ગાડીમાંથી નીકળી ગયાં. અમે આગળની સીટમાં બેઠેલા હતાં.
એમ્બ્યુલન્સમાં આગ લાગતાં ડ્રાઈવરે વાહન ઊભું રાખ્યું હતું. આગળના ભાગમાં બેઠેલા ત્રણ લોકો શરીરે વત્તા-ઓછા પ્રમાણમાં દાઝી ગયા હતા, જેમને તાત્કાલિક સારવાર માટે ખસેડાયા છે. ઈજાગ્રસ્તોમાં એ ત્રણેયનો સમાવેશ થાય છે.
મોડાસા ટાઉન પોલીસે (પીએસઓ: એ.એસ.આઈ. મનુબેન જગમાલભાઈ, તપાસ અધિકારી: પી.એસ.આઈ. એ.એચ. રાઠોડ) ઘટનાસ્થળે પહોંચીને વધુ કાર્યવાહી હાથ ધરી છે. ભારતીય નાગરિક સુરક્ષા સંહિતાની કલમ-194 મુજબ અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને આગ લાગવાના ચોક્કસ કારણો જાણવા માટે તપાસ શરૂ કરાઈ છે.
આગમાં મૃત્યુ પામેલા ચાર લોકોનાં નામ
- જિજ્ઞેશભાઈ મહેશભાઈ મોચી: (ઉં.વ. 38, રહે. લુણાવાડા, મહીસાગર) – નવજાત શિશુના પિતા.
- જિજ્ઞેશભાઈનું તાજું જન્મેલું બાળક: (ઉં.વ. 1 દિવસ).
- રાજકરણ શાંતિલાલ રેટિયા: (ઉં.વ. 30, રહે. ચાંદખેડા, અમદાવાદ) – ડોક્ટર.
- ભૂરીબેન ડો/ઓ રમણભાઈ મનાત: (ઉં.વ. 23, રહે. ઓઢા ભડવચ, અરવલ્લી) – નર્સ.
બર્નિંગ એમ્બ્યુલન્સમાં દાઝેલા લોકોનાં નામ
- અંકિતભાઈ રામાભાઈ ઠાકોર, (ઉં.વ. 24, રહે. અમદાવાદ) – એમ્બ્યુલન્સ ડ્રાઈવર.
- ગૌસંગકુમાર મહેશભાઈ મોચી, (ઉં.વ. 40, રહે. લુણાવાડા, મહીસાગર).
- ગીતાબેન ઉર્ફે જયશ્રીબેન મહેશભાઈ મોચી, (ઉં.વ. 60, રહે. લુણાવાડા, મહીસાગર).