
રાજ્યના ગ્રામ્ય વિસ્તારોના સર્વાંગી અને સર્વસમાવેશી વિકાસ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે મહત્વપૂર્ણ જનહિતલક્ષી નિર્ણય લીધો છે. રાજ્યની તમામ 34 જિલ્લા પંચાયતોના પ્રમુખોને સ્થાનિક અગત્યતા ધરાવતા વિકાસ કામો માટે વાર્ષિક રૂ. 1 કરોડની વિવેકાધીન ગ્રાન્ટ ફાળવવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
હાલ રાજ્યમાં ધારાસભ્યોને વિકેન્દ્રિત જિલ્લા આયોજન કાર્યક્રમ અંતર્ગત વિકાસ કામો માટે રૂ. 2.5 કરોડની ગ્રાન્ટ આપવામાં આવે છે. તે જ રીતે ગ્રામ્ય વિસ્તારોમાં વિકાસને વધુ વેગ મળે અને સ્થાનિક જરૂરિયાતોને પ્રાથમિકતા આપી શકાય તે હેતુથી જિલ્લા પંચાયત પ્રમુખોને પણ વિવેકાધીન ગ્રાન્ટ ફાળવવાની રજૂઆત કરવામાં આવી હતી.
મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે જિલ્લા પંચાયત પ્રમુખોની રજૂઆતોને સકારાત્મક અને ત્વરિત પ્રતિસાદ આપતાં સામાન્ય વહીવટ વિભાગને આ નિર્ણય અમલમાં મૂકવા દિશાનિર્દેશો આપ્યા છે. આ નિર્ણયથી ગામડાઓમાં જરૂરી ઈન્ફ્રાસ્ટ્રક્ચર, સુવિધાઓ અને વિકાસ કામોને નવી ગતિ મળશે તેમ માનવામાં આવી રહ્યું છે.