મતદાર યાદી સુધારણાની મુદત 30 જાન્યુઆરી સુધી વધારાઈ

Spread the love

 

1 જાન્યુઆરી 2026ની લાયકાતની તારીખના આધારે ગુજરાતમાં હાથ ધરવામાં આવેલી મતદાર યાદીની ખાસ સઘન સુધારણા (સ્પેશિયલ ઈન્ટેન્સિવ રિવિઝન – SIR) પ્રક્રિયા અંતર્ગત ભારતના ચૂંટણી પંચે મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે. ચૂંટણી પંચે મતદાર યાદી સંબંધિત દાવા અને વાંધાઓ રજૂ કરવાની સમયમર્યાદા વધારીને હવે 30 જાન્યુઆરી 2026 સુધી કરી છે.
ભારતના ચૂંટણી પંચની સૂચના અનુસાર રાજ્યભરમાં 27 ઓક્ટોબર 2025થી SIR ઝુંબેશ શરૂ કરવામાં આવી હતી. આ ઝુંબેશના ગણતરી તબક્કાની અસરકારક કામગીરી પૂર્ણ થયા બાદ 19 ડિસેમ્બર 2025ના રોજ મુસદ્દા મતદાર યાદી પ્રસિદ્ધ કરવામાં આવી હતી. આ મુસદ્દા યાદી સામે દાવા અને વાંધાઓ રજૂ કરવા માટે અગાઉ 18 જાન્યુઆરી 2026ને આખરી તારીખ તરીકે નક્કી કરવામાં આવી હતી.
પરંતુ હવે ચૂંટણી પંચે સત્તાવાર સૂચના જાહેર કરીને આ સમયમર્યાદા વધારી દીધી છે. તેના પરિણામે રાજ્યના તમામ પાત્ર મતદારોને વધુ તક મળી છે અને તેઓ હવે 30 જાન્યુઆરી 2026, શુક્રવાર સુધી મતદાર યાદી સંલગ્ન દાવા અને વાંધાઓ રજૂ કરી શકશે.
ચૂંટણી પંચે આ નિર્ણય પાછળનો હેતુ સ્પષ્ટ કરતા જણાવ્યું છે કે, પાત્રતા ધરાવતો કોઈ મતદાર રહી ન જાય અને પાત્રતા ન ધરાવતા મતદાર યાદીમાં સામેલ ન થાય– તે સુનિશ્ચિત કરવું જ SIR ઝુંબેશનો મુખ્ય ઉદ્દેશ છે.
મતદાર યાદીમાં નામ ઉમેરવા, નામ કાઢવા, વિગતોમાં સુધારા કે સરનામા બદલાવ સંબંધિત દાવા–વાંધાઓ માટે મતદારો પોતાના સંબંધિત બૂથ લેવલ અધિકારી (BLO) અથવા ચૂંટણી પંચના નિર્ધારિત માધ્યમો મારફતે અરજી કરી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *