શક્તિસિંહ ગોહિલના ભત્રીજાએ અકસ્માતે પત્નીને ગોળી મારી

Spread the love

 

અમદાવાદના જજીસ બંગલો રોડ પર આવેલા NRI ટાવરમાં ગઈકાલે(21 જાન્યુઆરી) મોડીરાત્રે કોંગ્રેસનેતા શક્તિસિંહ ગોહિલના સગા ભત્રીજા અને ક્લાસ-1 અધિકારી યશરાજસિંહ દુર્ગેશસિંહ ગોહિલ રિવોલ્વર ફેરવતા હતા એ સમયે અકસ્માતે પત્ની રાજેશ્વરી ગોહિલના ગળામાં ગોળી વાગી ગઈ હતી. ગોળી વાગવાની ઘટના બનતાં તરત જ તેમણે 108ને કોલ કર્યો હતો. 108ની ટીમ આવી તો તેમને ચેક કરીને પત્નીના મોતના સમાચાર આપ્યા હતા, જેથી આઘાતમાં આવીને પોતે પણ ગોળી મારીને તેમણે આત્મહત્યા કરી લીધી હતી. અમદાવાદ સિવિલમાં પોસ્ટમોર્ટમ પૂર્ણ થતાં બંનેના મૃતદેહને ભાવનગરના લીમડા ગામે લઈ જવામાં આવ્યા છે, જ્યાં દંપતીના મૃતદેહની અંતિમ વિધિ કરવામાં આવશે. દંપતી કાલે જમવા માટે એક સબંધીના ઘરે ગયા હતા, જમીને ઘરે પરત આવ્યા ત્યારબાદ આ બનાવ બન્યો હતો. બનાવ સમયે ઘરમાં યશરાજના 60 વર્ષીય માતા બીજા રૂમમાં હાજર હતા. મૃતક ગુજરાત મેરિટાઇમ બોર્ડમાં અધિકારી તરીકે ફરજ બજાવતા હતા. થોડા સમય અગાઉ જ પ્રમોશન મળતા વર્ગ 2માંથી વર્ગ 1 થયા હતા. મૃતક યશરાજસિંહ પરિવારના એકના એક દીકરા હતા, જેમનું મોત થયું છે. યશરાજસિંહે સાલ કોલેજમાંથી એન્જિનિયરિંગનો અભ્યાસ કર્યો હતો, NSUIમાં પણ તે કાર્યરત હતા.
બનાવની જાણ થતાં જ અમિત ચાવડા, મનીષ દોષી સહિતના કોંગ્રેસના નેતાઓ અમદાવાદ સિવિલ પહોંચી ગયા હતા. સાથે જ ભાજપ નેતા ભૂપેન્દ્રસિંહ ચુડાસમા પણ પહોંચ્યા હતા. જ્યાં તેમણે શક્તિસિંહને મળી સાંત્વના આપી હતી. 108 ઈમરજન્સી સેવાના જણાવ્યા મુજબ રાતે 11:45 વાગ્યા આસપાસ 108માં કોલ મળ્યો હતો. જેથી તાત્કાલિક 5 મિનિટમાં એમ્બ્યુલન્સ ઘટનાસ્થળે પહોંચી હતી. મૃતક પતિએ ભૂલથી ગોળી વાગી છે એવો કોલ 108માં કર્યો હતો. જ્યારે ત્યાં પહોંચ્યા ત્યારે મહિલાને તપાસતા તેઓ મૃત હતા. જેથી પેરામેડિકલ સ્ટાફ બહાર ડોક્ટર સાથે ફોન પર વાત કરતા હતા, ત્યારે પતિએ પોતાને પણ ગોળી મારી દીધી હતી. જેથી 108 સ્ટાફ દ્વારા પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટનાસ્થળે પહોંચી હતી. ગુજરાત કોંગ્રેસના પ્રવક્તા મનીષ દોશીએ જણાવ્યું હતું કે, ગોળી વાગવાની ઘટના બનતા તરત જ તેમણે 108ને કોલ કર્યો હતો. 108ની ટીમ આવી ત્યારે ફ્લેટ મળતો ન હોવાથી નીચે લેવા માટે પણ ગયા હતા. ઘટના બની ત્યારે તેમના માતા પણ ફ્લેટમાં હાજર હતા. 108ની ટીમ આવી તો તેમને ચેક કરીને પત્નીના મોતના સમાચાર આપ્યા હતા. જેથી આઘાતમાં આવીને પોતે પણ ગોળી મારીને આત્મહત્યા કરી છે. યશરાજસિંહ વાહન ફૂલ સ્પીડમાં ચલાવતા હોવાથી શક્તિસિંહ ગોહિલ તેમણે ઠપકો પણ આપતા હતા. કોઈપણ પ્રકારનો ઝઘડો બંને વચ્ચે નહોતો. બંને પરિવાર ખૂબ ખુશ હતા. પત્નીના મોતનો આઘાત લાગતા તેમણે પોતે પણ પોતાને ગોળી મારી લીધી હતી. પોતાની માતા અને 108ની ટીમ સામે આત્મહત્યા કરી હતી. જે દરમિયાન 108ની ટીમે બચાવવાનો પ્રયાસ પણ કર્યો હતો.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *