
આણંદપર બાઘી ગામે સાસરૂ ધરાવતી પૂજા અનિલ સોલંકી હાલ બે મહિનાથી રાજકોટ ગ્રીનલેન્ડ ચોક પાસે પિતાને ત્યાં રિસામણે આવી છે. ગઇકાલે સાંજે તેની દીકરી ધર્મિષ્ઠા અનિલ સોલંકી (ઉ.વ.2) રમતી રમતી ઘરના બીજા માળે બાથરૂમમાં જતી રહેતાં ત્યાં પાણીની ડોલ ભરેલી હતી તેમાં પડી ગઇ હતી. આ વખતે નળ પણ ચાલુ થઇ ગયો હતો અને ધર્મિષ્ઠા ઉંધે માથે પડતા પાણી પી ગઇ હતી. થોડીવાર પછી તેની માતાને ખબર પડતાં તે બાળકીને શોધવા નીકળી ત્યારે બાથરૂમમાં ભરેલી ડોલમાંથી તેણી મળી આવતાં બેભાન હાલતમાં રાજકોટ ઝનાના હોસ્પિટલમાં બાળકોના વિભાગમાં દાખલ કરવામાં આવી હતી, પરંતુ સારવાર દરમિયાન બાળકીને તબીબે મૃત જાહેર કરતાં કલ્પાંત સર્જાયો હતો. પોલીસ તપાસમાં બાળકી એક ભાઇથી નાની હોવાનું અને તેના પિતા અનિલભાઇ છુટક ડુંગળીની ફેરી કરી ગુજરાન પરિવારનું ગુજરાન ચલાવતા હોવાનું સામે આવ્યું છે. બનાવ અંગે બી ડિવિઝન પોલીસને જાણ થતાં જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી.
રાજકોટ શહેરના થોરાળા રોડ ઉપર લખાજીરાજ ઉદ્યોગનગરમાં રહેતા રાજેશભાઈ શામજીભાઈ કુમારખાણીયા (ઉં.વ.44) ગઈકાલે સાંજના 7 વાગ્યા આસપાસ પોતાના બહેનના ઘરે નવાગામ દિવેલીયાપરામાં હતા, ત્યારે બેભાન થઈ જતા રાજકોટ સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. અહીં ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. પોલીસ તપાસમાં રાજેશભાઈ કારખાનામાં મજૂરી કરતા હોવાનું અને ચાર ભાઈ ચાર બહેનમાં નાના અને અપરણિત હોવાનું સામે આવ્યું છે. ગઈકાલે બહેનના ઘરે આંટો મારવા ગયા અને ત્યાં જ ઢળી પડ્યા હતા. પોલીસે મૃતદેહ પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી મોતનું ચોક્કસ કારણ જાણવા તપાસ હાથ ધરી હતી, જેમાં પ્રાથમિક તારણમાં હાર્ટ એટેકથી મોત નિપજ્યાનું સામે આવ્યું છે. રાજકોટના કોઠારિયા સોલવન્ટમાં શીતળાધાર પાસે આવેલા 25 વારીયા કવાર્ટરમાં રહેતા ચંદન રામવિનય શાહ (ઉ.વ.33) નામના યુવાને ગઈકાલે રાત્રે પોતાના ઘરે એંગલમાં દુપટ્ટો બાંધી ગળાફાંસો ખાઇ આપઘાત કરી લીધો હતો. આ અંગે આજીડેમ પોલીસે મૃતદેહને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડી જરૂરી કાર્યવાહી હાથ ધરી હતી. પ્રાથમિક તપાસમાં મૃતકને સંતાનમાં એક પુત્ર હોવાનું અને તે કારખાનામાં કામ કરતો હતો. જો કે છેલ્લા બે મહિનાથી કામ ધંધો કરતો ન હોય અને દારૂ પીવાની કુટેવ ધરાવતો હતો જેના કારણે ગઇકાલે તેની પત્ની ઘરેથી ચાલી ગયા બાદ તેણે આ પગલું ભરી લીધું હોવાનું સામે આવ્યું છે.