
વડનગરના સિપોર નજીક રામગઢ ગામે 3 મંદિરને રાત્રિના સમયે તસ્કરોએ નિશાન બનાવ્યા હતા, જેમાંથી ચાંદી સહિતનો કિંમતી સામાન અને રોકડ મળી 1.98 લાખની મતા ચોરી થઈ હતી. વડનગર પોલીસે તસ્કરી મામલે ગુનો નોંધી ચોરોની તપાસ શરૂ કરી છે. વડનગર તાલુકાના સિપોર ગામે રહેતા શૈલેષસિંહ કનુંસિંહ રાણાની ફરિયાદ મુજબ, રામગઢ રોડ આવેલ તેઓના ખેતરમાં ગોગા મહારાજના મંદિર અને કુળદેવી હરસિદ્ધ માતાના 2 મંદિરના તાળાં તૂટયા હોવાનું અને અંદર ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. તો રામગઢ ગામે કશુભા પરિવારના કિરણજી જીવણજી ઠાકોરના ગોગા મહારાજના મંદિરમાં પણ ચોરી થઈ હોવાનું સામે આવ્યું હતું. ત્રણેય મંદિરમાંથી ચાંદીના નાગ, છતર, મુઘટ, પારણા, મૂર્તિ અને દાનપેટીની રોકડ સહિત 1.98 લાખની મતા ચોરી થઈ હતી. જે અંગેની ફરિયાદ આધારે વડનગર પોલીસે અજાણ્યા તસ્કરો વિરુદ્ધ ગુનો નોંધી ઘટનાસ્થળે FSL, ડોગ સ્ક્વોડ અને ટેક્નિકલ સર્વેલન્સ ટીમો સહિતની મદદ લઇ તસ્કરોનું પગેરું શોધવા વધુ તજવીજ હાથ ધરી હતી.