યાત્રાધામ અંબાજીમાં મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર કૌશિક મોદી પર જીવલેણ હુમલો થતા ચકચાર મચી ગઈ છે. મંદિર ટ્રસ્ટના જ એક પૂર્વ કર્મચારીએ ઓફિસમાં ઘૂસીને આ હુમલો કર્યો હતો. હુમલાની તીવ્રતા એટલી હતી કે અધિક કલેક્ટરની આખી ચેમ્બર રણમેદાનમાં ફેરવાઈ ગઈ હતી અને સામાન વેરવિખેર થઈ ગયો હતો. હાલ પોલીસે આ મામલે કડક તપાસ શરૂ કરી છે. ઓફિસમાં ઘૂસી ગળું દબાવવાનો પ્રયાસ બનાસકાંઠાના અંબાજી મંદિરના વહીવટદાર અને અધિક કલેક્ટર જ્યારે પોતાની ચેમ્બરમાં કાર્યરત હતા, ત્યારે ટ્રસ્ટના પૂર્વ કર્મચારી અને પૂર્વ પ્રિન્સિપાલ મોદનાદ મિશ્રા ત્યાં પહોંચ્યા હતા.
કોઈ જૂની અદાવત અથવા વિવાદને લઈને આરોપીએ આવેશમાં આવી અધિક કલેક્ટર પર હુમલો કર્યો હતો. આરોપ છે કે આરોપીએ કલેક્ટરનું ગળું દબાવીને તેમને જાનથી મારી નાખવાનો પ્રયાસ કર્યો હતો. આ હુમલાથી ઓફિસમાં અફરાતફરી મચી ગઈ હતી.
સિક્યુરિટી અને PA એ બચાવ્યાહુમલા દરમિયાન થયેલી ઝપાઝપીનો અવાજ સાંભળીને બહાર ઉભેલા પર્સનલ આસિસ્ટન્ટ (PA) અને સિક્યુરિટી ગાર્ડ તાત્કાલિક ચેમ્બરમાં દોડી આવ્યા હતા. તેમણે વચ્ચે પડીને આરોપીના ચુંગાલમાંથી અધિક કલેક્ટરને છોડાવ્યા હતા અને તેમનો બચાવ કર્યો હતો. જો આ લોકો સમયસર ન પહોંચ્યા હોત તો મોટી દુર્ઘટના ઘટી શકી હોત. હુમલા બાદ ઓફિસના દ્રશ્યો સામે આવ્યા છે, જેમાં ખુરશીઓ તૂટેલી અને કાગળો વેરવિખેર જોવા મળી રહ્યા છે.
FSL ની ટીમ દ્વારા તપાસનો ધમધમાટઘટનાની ગંભીરતાને જોતા હિંમતનગર અને બનાસકાંઠાની પોલીસ કાફલો ઘટનાસ્થળે પહોંચી ગયો હતો. એફએસએલ (FSL) ની ટીમે પણ અધિક કલેક્ટરની ચેમ્બરમાં પહોંચીને પુરાવા એકઠા કર્યા છે. જે પ્રકારે ઓફિસનો સામાન વેરવિખેર છે, તે દર્શાવે છે કે આરોપી અને કલેક્ટર વચ્ચે ઉગ્ર હાથપાઈ થઈ હતી. પોલીસે મંદિર પરિસરના સીસીટીવી ફૂટેજ પણ કબજે કર્યા છે જેથી ઘટનાની કડીઓ જોડી શકાય.
આરોપી વિરુદ્ધ પોલીસ ફરિયાદઅંબાજી મંદિરના વહીવટદાર દ્વારા આરોપી મોદનાદ મિશ્રા વિરુદ્ધ અંબાજી પોલીસ સ્ટેશનમાં કાયદેસરની ફરિયાદ નોંધાવવામાં આવી છે. યાત્રાધામ જેવા પવિત્ર અને સુરક્ષિત સ્થળે એક ઉચ્ચ અધિકારી પર થયેલા આ હુમલાએ સુરક્ષા વ્યવસ્થા પર પણ સવાલો ઉભા કર્યા છે. હાલ પોલીસ આ હુમલા પાછળના ચોક્કસ કારણોની તપાસ કરી રહી છે.