
રાજ્યના શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને હ્રદયમાં બ્લોકેજ હોવાનું સામે આવ્યું છે. ત્યારબાદ તાત્કાલિક અમદાવાદની યુ.એન. મહેતા હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. હોસ્પિટલના નિષ્ણાંત તબીબો દ્વારા તેમની સફળતાપૂર્વક સર્જરી કરીને હ્રદયમાં સ્ટેન્ટ મૂકવામાં આવ્યું છે. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે, પરંતુ તકેદારીના ભાગરૂપે ડોક્ટરોએ તેમને આગામી પાંચ દિવસ સુધી સંપૂર્ણ આરામ કરવાની સલાહ આપી છે. શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા પોતે એક ડોક્ટર હોવાથી અને સ્વાસ્થ્ય પ્રત્યે જાગૃત હોવાથી તેઓના સમયપત્રક મુજબ રૂટિન ચેકઅપ માટે ડોક્ટરની પૂર્વ એપોઇન્ટમેન્ટ લઈને જ હોસ્પિટલમાં ગયેલા હતા. આ દરમિયાન હદયમાં ડૉક્ટરને માઇનોર બ્લોકેજ જણાઈ આવ્યું હતું. આ પ્રકારના કિસ્સાઓમાં સામાન્ય રીતે ડોક્ટર એન્જીઓગ્રાફી દરમિયાન જ સ્ટેન્ટ નખાવા માટેની સલાહ આપતા હોય છે. આ સલાહ મુજબ શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજાને યોગ્ય લાગતા તુરંત નિર્ણય લઈને ડોક્ટરે એક નાનકડું સ્ટેન્ટ પ્રદ્યુમન વાજાને નખાવ્યું હતું.
સાહેબની તબિયત આ પ્રક્રિયા પહેલા પણ એકદમ સરસ હતી. મુખ્યમંત્રીની સાથે તેઓ અમદાવાદ નગર શિક્ષણ સમિતિના કાર્યક્રમમાં સુંદર મજાનું પ્રેરણાત્મક વક્તવ્ય પણ આપેલ હતું.વધુમાં, સ્ટેન્ટ નખાવ્યા પછી પણ પાંચ જ મિનિટ બાદ તેઓ એકદમ સ્વસ્થ હાલતમાં જોવા મળ્યાં છે. ડોક્ટરે પાંચ દિવસ સંપૂર્ણ આરામની સલાહ આપેલ છે જેને ધ્યાનમાં લઈને મંત્રી હાલ સંપૂર્ણ આરામ ફરમાવે છે. મંત્રીએ તેમના આ સમયમાં શુભેચ્છા તેમજ પ્રાર્થનાઓનો સ્વીકાર કરી સર્વેનો ખુબ ખુબ આભાર વ્યક્ત કર્યો છે. શિક્ષણ મંત્રી પ્રદ્યુમન વાજા સાંજે 5.30 વાગ્યા સુધી અમદાવાદમાં સાબરમતી રિવરફ્રન્ટ ખાતે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત સ્કૂલ બોર્ડનું ભવન સ્માર્ટ સ્કૂલોનું લોકાર્પણ અને શ્રેષ્ઠ શિક્ષકોના એવોર્ડ વિતરણ કાર્યક્રમમાં મુખ્યમંત્રીની સાથે હાજર હતા. કાર્યક્રમ પૂર્ણ થયા બાદ તેમને દુઃખાવો ઉપડતા તબિયત થોડી બગડી હતી. જેથી તેઓને અસારવા ખાતે આવેલી યુ.એન મહેતા હોસ્પિટલમાં ખાતે લઈ જવામાં આવ્યા હતા. તેમનું ચેકઅપ કરવામાં આવ્યું હતું. ચેકઅપમાં હૃદયમાં બ્લોકેજ હોવા અંગેની જાણ થઈ હતી જેથી તેમની તાત્કાલિક સારવાર શરૂ કરવામાં આવી હતી હાલ તેઓ યુએન મહેતા હોસ્પિટલમાં દાખલ છે અને તબિયત સારી હોવાનુ જાણવા મળ્યું છે.
આજે 13 ફેબ્રુઆરીના રોજ સાંજે તેમને અમદાવાદની યુ. એન. મહેતા હોસ્પિટલ ખાતે પણ જવાનું હતું. જેથી તેઓ સાબરમતી રિવરફ્રન્ટ ખાતેનો કાર્યક્રમ પૂર્ણ કરી અને સીધા યુએન મહેતા હોસ્પિટલ ખાતે પહોંચ્યા હતાં. પ્રદ્યુમન વાજાની એન્જિયોગ્રાફી કરવામાં આવી હતી. જેમાં તેમને એક નળીમાં બ્લોકેજ હોવાનું સામે આવ્યું હતું જેથી એક સ્ટેન્ટ મૂકવામાં આવ્યું છે. હાલ તેમની તબિયત સ્થિર હોવાનું જાણવા મળ્યું છે. ડો. પ્રદ્યુમન વાજા મૂળ અમદાવાદના વતની છે અને ગણુભાઈ વાજાના પુત્ર છે. તેમણે 1995માં ગુજરાત યુનિવર્સિટીમાંથી એમબીબીએસ, ડીજીઓ અને એમડીની ડિગ્રી મેળવી હતી. વધુમાં, 2022માં તેમણે એલએલબી અને એલએલએમનો અભ્યાસ પણ પૂર્ણ કર્યો હતો. તેઓ સરકારી સેવામાંથી નિવૃત્ત થયા છે, અને તેમના પત્ની પણ ડોક્ટર છે.2022ની ગુજરાત વિધાનસભા ચૂંટણીમાં ડો. વાજાએ ભારતીય જનતા પાર્ટીના ઉમેદવાર તરીકે કોડીનાર વિધાનસભા મતવિસ્તારમાંથી વિજય મેળવ્યો હતો. તેમણે કુલ 77,794 મત પ્રાપ્ત કર્યા હતા. આ ચૂંટણીમાં તેમણે ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના તેમના નજીકના હરીફ મહેશ મકવાણાને 19,386 મતોના માર્જિનથી હરાવ્યા હતા. ઓક્ટોબર 2025માં કેબિનેટ કક્ષાના શિક્ષણ મંત્રી બનાવાયા છે.