રાજ્ય સરકાર દ્વારા બજેટમાં ખેડૂતો, મધ્યમ વર્ગ અને ઉદ્યોગોને રાહત આપતા મહત્વપૂર્ણ નીતિગત નિર્ણયો લેવામાં આવ્યા છે. ખાસ કરીને ગ્રામ્ય વિસ્તારોમાં ખેતીલાયક જમીન સંબંધિત નિયમોમાં કરાયેલા ફેરફારોને કારણે ખેડૂતોને મોટી રાહત મળવાની છે.
અત્યાર સુધી આવી જમીનોના હસ્તાંતરણ કે અન્ય ઉપયોગ માટે ખેડૂતોને પ્રીમિયમ ભરવું પડતું હતું અને અનેક પ્રક્રિયાઓમાંથી પસાર થવું પડતું હતું. નવા નિયમ અમલમાં આવતા ખેડૂતોને આ પ્રીમિયમમાંથી મુક્તિ મળશે અને જમીન સંબંધિત પ્રક્રિયાઓ વધુ સરળ બનશે.
આ નિર્ણયથી ખાસ કરીને નાના અને મધ્યમ કિસાનવર્ગને સીધો લાભ મળશે. જમીનના કાયદાકીય દરજ્જામાં ફેરફાર થતાં ખેડૂતો હવે બેંક લોન, ખેતી વિકાસ યોજના અને અન્ય સરકારી સહાય મેળવવામાં સરળતા અનુભવે તેવી શક્યતા છે. જમીનના વ્યવહારોમાં પારદર્શિતા અને ગતિ વધશે, જે ગ્રામ્ય અર્થતંત્રને વેગ આપશે. આ પગલું ખેડૂતોને આર્થિક રીતે સશક્ત બનાવવાના વ્યાપક અભિયાનનો ભાગ છે. મધ્યમ વર્ગ અને ઉદ્યોગોને પણ પરોક્ષ રીતે લાભ થશે, કારણ કે જમીન સંબંધિત અડચણો ઓછી થતાં ગ્રામ્ય વિસ્તારોમાં કૃષિ આધારિત ઉદ્યોગો અને રોકાણને પ્રોત્સાહન મળશે.
જમીન વ્યવસ્થાપનમાં સરળતા આવશે અને ગ્રામ્ય વિકાસને નવી દિશા મળશે. સરકારનો દાવો છે કે ખેડૂતોના હિતોને કેન્દ્રમાં રાખીને લેવામાં આવેલા આ નિર્ણયો રાજ્યના સર્વાંગી વિકાસમાં મહત્વપૂર્ણ ભૂમિકા ભજવશે.
ગુજરાતના બજેટમાં વેરા ઘટાડાના પરિણામોને કારણે એક જ વર્ષમાં 11 હજાર કરોડ જીએસટી વેરાનો ગુજરાતીઓને લાભ થશે. કરદાતાઓની વર્કિંગ કેપીટલ બ્લોક ન થાય તે હેતુસર જોખમના મૂલ્યાંકનને આધારે કરાયેલા રિફંડની 90 ટકા રકમ દિન 7માં પ્રોવિઝનવલ ફંડ તરીકે ચૂકવાઈ જશે. GST રજિસ્ટ્રેશન યોજનામાં દર મહિને 2.5 લાખની વેરાશાખ પાસ ઓન કરે તો 3 દિવસમાં જ જીએસટી નંબર મળી જશે.