
ગુજરાતમાં વાતાવરણમાં આવેલા અચાનક પલટાને કારણે ખેડૂતોની ચિંતામાં ધરખમ વધારો થયો છે. આજે રાત્રિના સમયે વિસાવદર શહેર અને તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં મોડી રાત્રે અચાનક કમોસમી વરસાદ (માવઠું) શરૂ થયો છે. રાત્રે આકાશમાં કાળાડિબાંગ વાદળોની ગર્જના સાથે વરસાદી ઝાપટા પડવાના શરૂ થતા સમગ્ર પંથકમાં ફફડાટ વ્યાપી ગયો છે. વિસાવદરમાં આજે સવારથી જ મિશ્ર ઋતુનો અનુભવ થઈ રહ્યો હતો, પરંતુ બપોર બાદ વાતાવરણમાં એકાએક પલટો આવ્યો હતો. આખું બપોર વાદળછાયું વાતાવરણ રહ્યા બાદ રાત્રિના સમયે પવન સાથે વરસાદી ઝાપટા શરૂ થયા હતા. વિસાવદર શહેર ઉપરાંત તાલુકાના છેવાડાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ ધીમી ધારે વરસાદ ચાલુ હોવાના અહેવાલો પ્રાપ્ત થઈ રહ્યા છે. ફેબ્રુઆરી મહિનામાં પડતા આ વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક તો પ્રસરી છે, પરંતુ ખેડૂતો માટે આ ‘આફતનો વરસાદ’ સાબિત થઈ રહ્યો છે. હાલ ખેતરોમાં રવિ પાક તૈયાર થવાની અણી પર છે અથવા તો લણણીની પ્રક્રિયા ચાલી રહી છે. કમોસમી વરસાદને કારણે ખાસ કરીને ઘઉં, ચણા, તુવેર, ધાણા અને જીરા જેવા પાયાના પાકોને મોટું નુકસાન થવાની ભીતિ સેવાઈ રહી છે. જો વરસાદનું જોર વધશે તો તૈયાર પાક પલળી જવાથી કાળો પડી શકે છે અથવા ખેતરમાં જ સડી જવાની શક્યતા રહેલી છે. મોંઘા ભાવના બિયારણ અને રાત-દિવસની મહેનત બાદ જ્યારે પાક હાથમાં આવવાનો સમય થયો છે, ત્યારે કુદરતી આફતે ખેડૂતોના મોઢે આવેલો કોળિયો છીનવી લીધો હોય તેવી સ્થિતિ સર્જાઈ છે. માર્કેટિંગ યાર્ડમાં ખુલ્લામાં પડેલો ખેડૂતોનો માલ અને ખેતરોમાં કાપીને રાખેલો પાક બચાવવો અત્યારે મુશ્કેલ બની રહ્યો છે. પશુઓ માટેનો ઘાસચારો પણ પલળી જવાથી માલધારીઓની મુશ્કેલીમાં પણ વધારો થશે. વિસાવદર તાલુકાના ગ્રામ્ય વિસ્તારોમાં હજુ પણ વાદળછાયું વાતાવરણ યથાવત છે અને વધુ વરસાદની સંભાવનાને પગલે ખેડૂતો ભગવાન પાસે આ આફત ટળે તેવી પ્રાર્થના કરી રહ્યા છે.