
રાજ્યભરમાં આજે હોળી પર્વની હર્ષોલ્લાસ સાથે ઉજવણી કરવામાં આવી હતી. ગુજરાતભરમાં આજે મોડી સાંજે હોલિકા પ્રગટાવાઈ હતી, ત્યારે ગાંધીનગર નજીક પાલજ ગામે આશરે 700 વર્ષ જૂની પરંપરા અનુસાર ગુજરાતની સૌથી મોટી હોળી પ્રગટાવાઈ હતી. મહાકાળી માતાના પૂજન સાથે 35 ફૂટ જેટલી ઊંચી હોલિકાનું દહન કરવામાં આવ્યું હતું. પાલજ ગામ ખાતે હોલિકાના દર્શન કરવા ભક્તોનું ઘોડાપૂર ઉમટી પડ્યું હતું. જ્યારે કાયદો અને વ્યવસ્થા જળવાઈ રહે તે માટે તંત્ર દ્વારા ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો હતો. આ ઉપરાંત અમદાવાદ, વડોદરા, સુરત અને રાજકોટ સહિત રાજ્યભરમાં હોલિકા દહન કરવામાં આવ્યું હતું. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ આજે હોલિકાદહન માટે અમદાવાદના મેમનગર વિસ્તારમાં માનવ મંદિર ખાતે પહોંચ્યા હતા. માનવ મંદિર ખાતે વૈદિક હોળી પ્રગટાવવામાં આવી હતી. જેમાં મુખ્યમંત્રી દ્વારા પૂજા કરવામાં આવી હતી. ત્યાર બાદ વૈદિક હોળી પ્રગટાવવામાં આવી હતી. હોળીના પર્વ પર પવનની ગતિ અને દિશાનું વિશ્લેષણ કરતા અંબાલાલ પટેલે જણાવ્યંત હતું કે, આ વખતે હોળી ‘વિષ્ટી’માં પ્રગટાવવામાં આવી છે અને પવન મુખ્યત્વે ઉત્તર-પશ્ચિમ દિશાનો રહ્યો છે, જે હવામાનની દ્રષ્ટિએ ખૂબ જ સાનુકૂળ સંકેત ગણાય છે. ગુજરાતમાં આ વર્ષે ચોમાસું એકંદરે ઘણું સારું રહેશે. ખાસ કરીને સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ રહેશે.