બુધવારે (18 માર્ચ, 2026) રાજ્યસભામાં કાર્યકાળ પૂર્ણ કરી રહેલા સભ્યો માટે વિદાય સમારંભ યોજાયો હતો. આ પ્રસંગે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આભાર પ્રવચન આપતા જણાવ્યું હતું કે, સંસદીય કાર્યપ્રણાલીમાં જેમણે પોતાનું અડધું જીવન વિતાવ્યું છે તેવા વરિષ્ઠ નેતાઓ પાસેથી આપણે ઘણું શીખવાની જરૂર છે.
PM મોદીએ ખાસ કરીને પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવેગૌડા, કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે અને શરદ પવાર જેવા નેતાઓનો ઉલ્લેખ કર્યો હતો.
વરિષ્ઠ નેતાઓના સમર્પણની પ્રશંસા
પોતાના સંબોધનમાં વડાપ્રધાને કહ્યું કે, “આદરણીય દેવેગૌડા જી, મલ્લિકાર્જુન ખડગે જી અને શરદ પવાર જી એવા વરિષ્ઠ લોકો છે જેમણે પોતાનું અડધું જીવન સંસદીય કાર્યપ્રણાલીમાં વિતાવ્યું છે. આપણે તેમના પાસેથી શીખવું જોઈએ કે સમાજમાં જે જવાબદારી મળી છે તેના પ્રત્યે કેવી રીતે સમર્પિત રહેવું.” વડાપ્રધાને વધુમાં ઉમેર્યું કે આ નેતાઓનું યોગદાન ખૂબ મોટું છે અને તેમનો લાંબો કાર્યકાળ સંસદ માટે ગૌરવની વાત છે. આ પ્રસંગે ડેપ્યુટી ચેરમેન હરિવંશ જી પણ વિદાય લઈ રહ્યા હોવાથી PM એ તેમના કાર્યની પણ પ્રશંસા કરી હતી.
મલ્લિકાર્જુન ખડગેએ વ્યક્ત કરી લાગણી
રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેએ પણ વિદાય ભાષણ આપ્યું હતું. તેમણે ભાવુક થતા કહ્યું કે, “રાજકારણમાં રહેલા લોકો ક્યારેય રિટાયર્ડ પણ નથી થતા અને ટાયર્ડ (થાકેલા) પણ નથી થતા. મારા 54 વર્ષના સંસદીય જીવન પછી પણ મને ઘણું શીખવાની જરૂર પડે છે. આ સદનમાં અનેક ખાટા-મીઠા અનુભવો રહ્યા છે.” ખડગેએ વિશ્વાસ વ્યક્ત કર્યો કે વિદાય લઈ રહેલા ઘણા સભ્યો ફરીથી ચૂંટાઈને સદનમાં પરત આવશે.
દેવેગૌડાને લઈને ખડગેએ કરી રમુજ
પોતાના ભાષણ દરમિયાન ખડગેએ હળવી શૈલીમાં પૂર્વ વડાપ્રધાન એચ.ડી. દેવેગૌડા પર ચપટી લીધી હતી. તેમણે કહ્યું, “દેવેગૌડા જી સાથે મેં કામ કર્યું છે. ખબર નહીં તેમને શું થયું કે પ્રેમ અમારી (વિપક્ષ) સાથે કર્યો અને લગ્ન મોદી સાહેબ સાથે કરી લીધા.” ખડગેની આ વાત પર સદનમાં હાસ્યનું મોજું ફરી વળ્યું હતું. તેમણે રામદાસ આઠવલે વિશે પણ ટિપ્પણી કરતા કહ્યું કે તેમની કવિતાઓ પણ હવે માત્ર મોદી સાહેબ પર જ આવે છે.

સદનની ગરિમા અને એકતા પર ભાર
ખડગેએ શક્તિસિંહ ગોહિલ અને નીરજ ડાંગી જેવા સાથીઓનો ઉલ્લેખ કરતા કહ્યું કે તેઓ જ્વલંત મુદ્દાઓ પર પૂરી તૈયારી સાથે પોતાની વાત રજૂ કરતા રહ્યા છે. તેમણે અંતમાં ભાર મૂક્યો કે આપણે જેટલું મળીને કામ કરીશું તેટલું દેશ માટે સારું રહેશે, કારણ કે અંતર રાખવાથી માત્ર ગેરસમજ જ પેદા થાય છે.
રાજ્યસભાના અધ્યક્ષ સી.પી. રાધાકૃષ્ણને જણાવ્યું કે કુલ 25 રાજ્યોના 59 સભ્યો તેમનો કાર્યકાળ પૂર્ણ કરી રહ્યા છે, જેમાં વિપક્ષના નેતા ખડગે અને ડેપ્યુટી ચેરમેન હરિવંશનો પણ સમાવેશ થાય છે.