હોર્મુઝ ખુલ્લું રહે કે બંધ, ભારતને તેલ સંકટનો સામનો નહીં કરવો પડે. જી હા, ઈરાન-અમેરિકા યુદ્ધના કારણે હોર્મુઝથી તેલનો સપ્લાય ખોરવાયો છે. ભારત પર પણ તેની અસર પડી રહી છે. ભારતના પણ તેલવાળા જહાજો ફસાયેલા છે. એવામાં ભારતે હોર્મુઝનો તોડ શોધી કાઢ્યો છે. ભારતે એટલું તેલ ખરીદી લીધું છે, જેનાથી આગામી સંકટને સરળતાથી ટાળી શકાય છે.
ભારતે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી સપ્લાય ખોરવાવાને કારણે આવતા મહિનાની ડિલિવરી માટે રશિયા પાસેથી આશરે 6 કરોડ બેરલ કાચું તેલ ખરીદ્યું છે. બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધને કારણે સપ્લાય ચેઈન પર દબાણ વધી ગયું છે. આ જ કારણે ભારતે રશિયા પાસેથી કાચું તેલ ખરીદ્યું છે. આ ખરીદી કાચા તેલની ઉપલબ્ધતા અંગેની ચિંતા દૂર કરવા માટે કરવામાં આવી છે, કારણ કે સ્ટ્રેટ ઓફ હોર્મુઝથી શિપિંગમાં હજુ પણ અવરોધો યથાવત છે.
ભારતે ફરી રશિયા પાસેથી તેલ ખરીદ્યું
રિપોર્ટ અનુસાર, આ રશિયન તેલના જથ્થાનું બુકિંગ બ્રેન્ટના મુકાબલે પ્રતિ બેરલ 5થી 15 ડોલરના પ્રીમિયમ પર કરવામાં આવ્યું છે. આ સપ્લાયની અછત અને ઉપલબ્ધ બેરલની માગ દર્શાવે છે. તેલનો આ જથ્થો ભારતના ચાલુ મહિનાની ખરીદી જેટલો જ છે, જ્યારે ફેબ્રુઆરીમાં ખરીદેલા જથ્થા કરતા બમણો છે. આનો અર્થ એ છે કે ભારતમાં તેલનું સંકટ નહીં આવે. ડેટા ઈન્ટેલિજન્સ ફર્મ કેપ્લરના હવાલેથી રિપોર્ટમાં જણાવાયું છે કે ભારતે ફેબ્રુઆરીમાં આનાથી અડધા જથ્થામાં તેલ ખરીદ્યું હતું.
તક જોઈને ભારતે માર્યો ચોગ્ગો
ભારતે સમયની ગંભીરતાને સમજીને આ નિર્ણય લીધો છે. જેવું અમેરિકાએ રશિયન તેલ પરથી પ્રતિબંધ હટાવ્યો, ભારતે તક જોઈને ચોગ્ગો માર્યો અને રશિયા પાસેથી તેલ ખરીદી લીધું. રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે, આ ખરીદી અમેરિકા તરફથી આપવામાં આવેલી છૂટ બાદ શક્ય બની છે. અમેરિકી છૂટ મુજબ, 5 માર્ચ પહેલા જહાજો પર લોડ થઈ ચૂકેલા રશિયન તેલની ડિલિવરીની મંજૂરી આપવામાં આવી હતી. આનાથી સ્ટ્રેટ ઓફ હોર્મુઝ બંધ થવાથી ઊભી થયેલી અછત પૂરી કરવામાં મદદ મળી છે. બાદમાં આ છૂટ 12 માર્ચ પહેલા સમુદ્રમાં હાજર જથ્થા અને અન્ય દેશો સુધી લંબાવવામાં આવી, જ્યાં સપ્લાયમાં અવરોધ આવી રહ્યો હતો.
રિફાઈનર્સે મહિનાઓ પછી ફરી રશિયન માર્કેટ તરફ વલણ કર્યું
બ્લૂમબર્ગના રિપોર્ટ મુજબ, ભારતની મેંગલોર રિફાઈનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ (MRPL) અને હિન્દુસ્તાન મિત્તલ એનર્જી લિમિટેડ જેવી કંપનીઓએ ડિસેમ્બરથી અમેરિકી દબાણને કારણે રશિયન તેલની ખરીદી ઘટાડી દીધી હતી, પરંતુ હવે ફરીથી ખરીદી શરૂ કરી છે. તાજેતરના મહિનાઓમાં ભારતે સાઉદી અરેબિયા અને ઈરાકથી તેલ ખરીદવાનું શરૂ કર્યું હતું, પરંતુ આ ક્ષેત્રમાં સંઘર્ષ શરૂ થયા પછી આ જથ્થાનો મોટો ભાગ ફારસની ખાડીમાં ફસાઈ ગયો હતો, જેનાથી સપ્લાયની ઉપલબ્ધતા ઘટી ગઈ અને રિફાઈનર્સને ફરીથી રશિયન તેલ ખરીદવા માટે મજબૂર થવું પડ્યું.
રિપોર્ટમાં સૂત્રોના હવાલેથી કહેવામાં આવ્યું છે કે, નવી દિલ્હીના અધિકારીઓ આશા રાખી રહ્યા છે કે, જ્યાં સુધી હોર્મુઝથી શિપિંગમાં અવરોધ રહેશે ત્યાં સુધી અમેરિકી છૂટ ચાલુ રહેશે. આ રીતે ભારત ડિસ્કાઉન્ટ પર રશિયન કાચા તેલનો મુખ્ય ખરીદદાર બની ગયું છે. રિપોર્ટ અનુસાર, રશિયાને ફરીથી વધતી માગ અને ઊંચી કિંમતોનો ફાયદો મળી રહ્યો છે. ક્રેમલિનને માર્ચ 2022 પછી કાચા તેલની નિકાસમાંથી સૌથી વધુ આવક મળી રહી છે.
ભારત યુદ્ધ વચ્ચે સપ્લાયના વિકલ્પો શોધી રહ્યું છે
રશિયા પાસેથી ખરીદી વધારવાની સાથે સાથે ભારતીય રિફાઈનર્સ અન્ય દેશોમાંથી પણ સપ્લાયના વિકલ્પો શોધી રહ્યા છે, કારણ કે ભૌગોલિક-રાજકીય અનિશ્ચિતતા ઊર્જા માર્કેટને અસર કરી રહી છે. બ્લૂમબર્ગના રિપોર્ટમાં કેપ્લરના આંકડા ટાંકીને જણાવાયું છે કે, એપ્રિલમાં ભારતની વેનેઝુએલાથી કાચા તેલની આયાત 80 લાખ બેરલ સુધી પહોંચી શકે છે, જે ઓક્ટોબર 2020 પછી સૌથી વધુ છે.
ભારતનું આ પગલું કેમ મહત્વનું છે?
-
- આ પગલું ભારતીય પ્રોસેસર્સ દ્વારા સપ્લાય ચેઈનને વિવિધ બનાવવાની અને કોઈ એક ક્ષેત્ર કે શિપિંગ રૂટમાં અવરોધથી બચવાની કોશિશ દર્શાવે છે. આ અઠવાડિયાના એક રિપોર્ટમાં જણાવાયું છે કે, વૈશ્વિક બજારમાં ઉતાર-ચઢાવ હોવા છતાં ઉર્જાનો જથ્થો ભારતીય બંદરો સુધી પહોંચી રહ્યો છે.
-
- ANI મુજબ, રશિયન તેલથી ભરેલું ટેન્કર MT Aqua Titan, જેને મેંગલોર રિફાઈનરી એન્ડ પેટ્રોકેમિકલ્સ લિમિટેડ દ્વારા ચાર્ટર કરવામાં આવ્યું છે, તે 22 માર્ચે ભારત પહોંચ્યું અને અરબ સાગરમાં મેંગલુરુ કિનારાથી આશરે 10 નોટિકલ માઈલ દૂર લંગર નાખીને ઊભું છે.
-
- આ આવક એવા સમયે થઈ છે જ્યારે વૈશ્વિક ઊર્જા સપ્લાયને લઈને ચિંતા વધી છે અને ભૌગોલિક-રાજકીય તણાવ કાચા તેલની ઉપલબ્ધતા અને સપ્લાય ચેઈનને અસર કરી રહ્યો છે. રિપોર્ટમાં એમ પણ જણાવાયું છે કે, ટેક્સાસથી LPG લઈને આવેલું એક કાર્ગો જહાજ ન્યૂ મેંગલોર પોર્ટ પહોંચ્યું છે, જે ઈંધણના જથ્થાની સતત આવક દર્શાવે છે.
-
- ANI અનુસાર, શિપિંગ મંત્રાલયે કહ્યું છે કે કોઈપણ ભારતીય બંદર પર કોઈ જામ નથી અને ફારસની ખાડી વિસ્તારમાં હાજર તમામ 22 ભારતીય જહાજો અને 611 નાવિકો સુરક્ષિત છે. વિશેષ સચિવ રાજેશ કુમાર સિન્હાએ જણાવ્યું કે, અધિકારીઓ આ વિસ્તારની સ્થિતિ પર નજર રાખી રહ્યા છે.
ન્યૂ મેંગલોર પોર્ટે કર માફ કર્યા
ANIએ એમ પણ જણાવ્યું કે, ન્યૂ મેંગલોર પોર્ટે 14 માર્ચથી 31 માર્ચ વચ્ચે કાચા તેલ અને LPGના જથ્થા પર કાર્ગો સંબંધિત કર માફ કરી દીધા છે, જેથી સપ્લાયમાં અનિશ્ચિતતા દરમિયાન આયાત પ્રક્રિયા સરળતાથી ચાલી શકે. રિપોર્ટમાં આગળ જણાવાયું છે કે, ભારતીય ધ્વજ ધરાવતું કાચા તેલનું ટેન્કર જગ લાડકી ગુજરાતના અદાણી પોર્ટ્સ મુંદ્રા પર સફળતાપૂર્વક પહોંચ્યું છે, જ્યારે LPG કેરિયર્સ MT શિવાલિક અને MT નંદા દેવી, જેમાં આશરે 92,712 મેટ્રિક ટન LPG હતો, તે માર્ચની શરૂઆતમાં સ્ટ્રેટ ઓફ હોર્મુઝ પસાર કરીને ભારત પહોંચ્યા હતા.