PM Modi in Gujarat: પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે ગુજરાતના પ્રવાસ દરમિયાન વાવ-થરાદ જિલ્લાની મુલાકાત લીધી હતી. અહીંથી તેઓ 19 હજાર કરોડથી વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ અને ખાતમૂહુર્ત કર્યુ હતું. આ પહેલા તેમણે ગાંધીનગરમાં કોબા તીર્થ ખાતે ‘સમ્રાટ સંપ્રતિ સંગ્રહાલય’નું અને સાણંદ ખાતે GIDCમાં કેન્સ સેમિકોન પ્લાન્ટનું ઉદ્ઘાટન કર્યું હતું.
વાવ થરાદની ધરતી પરથી પ્રધાનમંત્રી મોદીએ કૉંગ્રેસ પર ગંભીર આરોપ લગાવ્યા હતા. પીએમ મોદીએ કહ્યું કે, સંકટના સમયે કૉંગ્રેસના નેતાઓ અફવાઓ ફેલાવી રહ્યા છે. કૉંગ્રેસના નેતાઓ દેશના ભાગલા પાડવાનો પ્રયાસ કરી રહી છે.
પ્રધાનમંત્રી મોદીએ કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, જ્યારે રાષ્ટ્રને એકતાની સૌથી વધુ જરૂર છે ત્યારે કોંગ્રેસ પક્ષ દેશમાં ભાગલાવાદી રાજકારણ રમીને ડર અને અફવાઓ ફેલાવી રહ્યો છે. રાજકીય સ્વાર્થ ખાતર દેશની સામૂહિક શક્તિને નબળી પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ ભારતની મજબૂત વિદેશ નીતિ અને નાગરિકોનો અતૂટ વિશ્વાસ કોઈપણ પડકારને માત આપવા સક્ષમ છે.
ડીસા એરબેઝ રાષ્ટ્રીય સુરક્ષા માટે મહત્વનું
પ્રધાનમંત્રી મોદીએ કહ્યું કે આજે તેમનું વિમાન સીધું ડીસા એરબેઝ પર લૅન્ડ થયું. જે તેમના માટે ગૌરવની ક્ષણ છે. અહીં એરબેઝ સ્થાપિત કરવું ખૂબ જ જરૂરી છે. ડીસા એરબેઝ આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર 130 કિમી દૂર હોવાથી દેશની સુરક્ષા માટે અત્યંત મહત્ત્વનું છે. ‘જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે જ આ એરબેઝ માટે જમીન સંપાદનનું કામ કર્યું હતું, પરંતુ દિલ્હીની તત્કાલીન સરકારે ગુજરાત પ્રત્યેના દ્વેષને કારણે આ ફાઇલો વર્ષો સુધી દબાવી રાખી હતી. તમે મને દિલ્હી મોકલ્યો અને મેં એ ફાઇલો બહાર કાઢી જેના પરિણામે આજે એરફોર્સનો આ વિશાળ બેઝ તૈયાર થયો છે’.
