
પાકિસ્તાનને જાણ કરી
ઈરાને પાકિસ્તાનને સત્તાવાર રીતે જાણ કરી છે કે, તેનું કોઈ પ્રતિનિધિમંડળ ઈસ્લામાબાદ ગયું નથી અને જવાની કોઈ યોજના પણ નથી. ઈરાનનું કહેવું છે કે, લેબનોન પર ચાલુ હુમલાઓ વચ્ચે વાતચીત કરવી ‘વ્યર્થ’ હશે. તેહરાને સ્પષ્ટ કર્યું કે, જ્યાં સુધી ઈઝરાયેલ દ્વારા લેબનોનમાં સૈન્ય કાર્યવાહી રોકવામાં નહીં આવે અને વ્યાપક સીઝફાયર લાગુ નહીં થાય, ત્યાં સુધી શાંતિ વાટાઘાટો આગળ વધશે નહીં.
આ નિવેદન એવા સમયે આવ્યું છે, જ્યારે પાકિસ્તાનમાં અમેરિકા અને ઈરાન વચ્ચે સંભવિત વાતચીતની તૈયારીઓ ચાલી રહી હતી. જો કે, લેબનોનમાં વધતા હુમલાઓએ આ વાતચીત પર અનિશ્ચિતતા ઊભી કરી છે. નિષ્ણાતોનું માનવું છે કે, લેબનોન મુદ્દે મતભેદ જ અત્યારે શાંતિ પ્રક્રિયામાં સૌથી મોટો અવરોધ બનીને ઉભર્યો છે. ઈરાન સતત એવી માંગ કરી રહ્યું છે કે, યુદ્ધવિરામ તમામ મોરચે લાગુ થાય, જેમાં લેબનોન પણ જોડાયેલ હોય.