આ ડાયરીમાં ભાવનાએ ‘પુત્ર પ્રાપ્તિ’ માટેની તેની તીવ્ર ઝંખનાનો ઉલ્લેખ કર્યો છે. પોલીસ સૂત્રોના જણાવ્યા અનુસાર, વિમલ અને તેની પત્ની ભાવના વચ્ચે અવારનવાર માથાકૂટ થતી હતી. આ ઝઘડા પાછળ આર્થિક તંગીની સાથે સાથે વિમલની કેટલીક ખરાબ ટેવો પણ જવાબદાર હતી. પરિવારમાં પુત્ર ન હોવાથી અને સતત આર્થિક ખેંચતાણને કારણે ઘરમાં તણાવનું વાતાવરણ રહેતું હતું.
લોહીના નમૂનામાં મળ્યું જીવલેણ ‘એલ્યુમિનિયમ ફોસ્ફેટ’
આ કેસમાં સૌથી મોટો વળાંક ત્યારે આવ્યો જ્યારે માતા-પિતાના બ્લડ સેમ્પલનો રિપોર્ટ આવ્યો. રિપોર્ટમાં જીવલેણ એલ્યુમિનિયમ ફોસ્ફેટ નામનું કેમિકલ મળી આવ્યું છે. તપાસમાં ખુલ્યું છે કે વિમલે ‘ઉમિયા સીડ્સ એન્ડ ફર્ટિલાઇઝર્સ’માંથી આ જંતુનાશક દવા ખરીદી હતી. હવે પોલીસ એ દિશામાં તપાસ કરી રહી છે કે શું આ આત્મહત્યાનો પ્રયાસ હતો કે પછી આખાય પરિવારને ખતમ કરવાનું કોઈ આયોજન? બાળકીના FSL રિપોર્ટ બાદ તેના મોતનું સચોટ કારણ અને ઝેરની માત્રા સ્પષ્ટ થશે.
25 લોકોનાં નિવેદન અને પોલીસની કાર્યવાહી
ચાંદખેડા પોલીસે આ મામલાના મૂળ સુધી પહોંચવા માટે અત્યાર સુધીમાં 25 લોકોના નિવેદન લીધા છે. જેમાં: પરિવારના નજીકના સભ્યો, જે ડેરીમાંથી ખીરું ખરીદ્યું હતું તે ડેરીના માલિક. તે જ દિવસે તે ડેરીમાંથી ખીરું લેનાર અન્ય ગ્રાહકો અને સ્થાનિક પાડોશીઓ. પોલીસ એ પણ તપાસી રહી છે કે જો ખીરામાં કોઈ ખામી હોત તો અન્ય ગ્રાહકોને પણ તેની અસર થઈ હોત, પરંતુ માત્ર આ જ પરિવાર ભોગ બન્યો હોવાથી ઝેર આપવાની કે ખાવાની શંકા વધુ પ્રબળ બની છે.