લાખોનો પગાર પણ ઓછો પડ્યો… લોકોને નૈતિકતાના પાઠ ભણાવતા SDM લાંચ લેતા રંગે હાથ પકડાયા, થઈ ધરપકડ

Spread the love

રાજસ્થાનના કરૌલી જિલ્લામાં SDM તરીકે ફરજ બજાવતી કાજલ મીણાની ધરપકડ કરવામાં આવી છે. તેના પર રૂ. 60,000ની લાંચ લેવાનો આરોપ છે. રાજસ્થાન ભ્રષ્ટાચાર વિરોધી બ્યુરોએ 16 એપ્રિલે તેમને અન્ય બે લોકો સાથે રંગે હાથે પકડી લીધા હતા. ફરિયાદ મળ્યા પછી, વિભાગે પહેલા આ મામલાની તપાસ કરી અને પછી છટકું ગોઠવીને આરોપીને લાંચ લેતા પકડી હતી. પ્રારંભિક તપાસમાં જાણવા મળ્યું કે , આ કેસ ભ્રષ્ટાચાર નિવારણ અધિનિયમ હેઠળ આવે છે , તેથી તાત્કાલિક કેસ નોંધવામાં આવ્યો અને તેની ધરપકડ કરવામાં આવી.

કાજલ મીણા 2024 બેચની રાજસ્થાન વહીવટી સેવા (RAS) અધિકારી છે. તે ST શ્રેણીમાં ટોચ પર રહી હતી અને એક આશાસ્પદ અને ગતિશીલ અધિકારી માનવામાં આવતી હતી. તાલીમ દરમિયાન, તેને ટોંકમાં સહાયક કલેક્ટર તરીકે પોસ્ટ કરવામાં આવી હતી. ત્યારપછી, તેને પ્રતાપગઢ જિલ્લાના સુહાગપુરામાં સબ-ડિવિઝનલ ઓફિસર (SDO) તરીકે નિયુક્ત કરવામાં આવી હતી. તેને તાજેતરમાં કરૌલીમાં SDM તરીકે પોસ્ટ કરવામાં આવી હતી. તેણે ઓછા સમયમાં પોતાની પ્રતિષ્ઠા સ્થાપિત કરી હતી, પરંતુ આ કેસથી તેની છબી પર નકારાત્મક અસર પડી છે.

 

કાજલ મીણાએ IIT મંડીમાંથી ઇલેક્ટ્રિકલ એન્જિનિયરિંગમાં B.Techની ડિગ્રી મેળવી છે. ટેકનિકલ ક્ષેત્રમાંથી આવ્યા હોવા છતાં, તેણે વહીવટી સેવા પસંદ કરી. કાજલ માનતી હતી કે, વહીવટી અધિકારી બનવાથી સમાજમાં સકારાત્મક પરિવર્તન આવી શકે છે. તાલીમ દરમિયાન, તેને આ ક્ષેત્રમાં કામ કરવાનો અનુભવ મળ્યો, જેનાથી તેને વહીવટી કાર્યની સમજ મળી.

અહેવાલો અનુસાર, જમીન વિવાદ કેસમાં અંતિમ આદેશ બહાર પાડવાના બદલામાં લાંચ માંગવામાં આવી રહી હતી. ફરિયાદીએ આરોપ લગાવ્યો હતો કે, કાજલ મીણા તેમના રીડર દિનેશ કુમાર સૈની દ્વારા તેમની પાસેથી પૈસા માંગી રહી હતી. શરૂઆતમાં, માંગણી રૂ. 1 લાખ હતી, ત્યાર પછી તે ઘટાડીને રૂ. 50,000 કરવામાં આવી હતી. ફરિયાદ મળ્યા બાદ, ACBએ આયોજનબદ્ધ રીતે કાર્યવાહી કરી અને આરોપીને રૂ. 60,000 સ્વીકારતા પકડી લીધી. એવું જાણવા મળ્યું હતું કે, આમાં 50,000 રૂપિયા કાજલ મીણા માટે હતા, જ્યારે 10,000 રૂપિયા રીડર માટે હતા.

કાજલની ધરપકડ પછી, કર્મચારી વિભાગે તાત્કાલિક તેને સસ્પેન્ડ કરી દીધી. તપાસ દરમિયાન, ACBને આરોપીની બેગમાંથી આશરે 4 લાખ રૂપિયાની શંકાસ્પદ રોકડ પણ મળી આવી હતી, જેની તપાસ હજુ પણ ચાલી રહી છે. અધિકારીઓનું કહેવું છે કે, સંપૂર્ણ સત્ય બહાર લાવવા માટે કેસની દરેક દ્રષ્ટિકોણથી તપાસ કરવામાં આવી રહી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *