આ ચૂંટણીની મારી છેલ્લી રેલી, હવે ભાજપના શપથ ગ્રહણ સમારોહમાં આવીશ’, પીએમ મોદીનો બંગાળમાં હુંકાર

Spread the love
પશ્ચિમ બંગાળ વિધાનસભા ચૂંટણીના બીજા તબક્કાનો પ્રચાર આજે તેના અંતિમ પડાવ પર છે. ઉત્તર 24 પરગણા જિલ્લાના ‘બેરકપુર’ ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘વિજય સંકલ્પ રેલી’ને સંબોધિત કરી હતી. આ રેલીમાં ઉમટી પડેલી જનમેદનીને જોઈને પીએમ મોદી અત્યંત આત્મવિશ્વાસ સાથે પોતાના સંબોધનની શરૂઆત કરતા કહ્યું કે, બેરકપુરની ધરતી પરિવર્તનની લહેરને પ્રશસ્ત કરી રહી છે.

બંગાળમાં હું જ્યાં પણ ગયો છું, ત્યાં આટલી ગરમી હોવા છતાં લોકોમાં જે ઉત્સાહ જોવા મળ્યો છે, તેનાથી મને પાકો ભરોસો થઈ ગયો છે કે, 4 મેના પરિણામો બાદ મારે ભાજપના શપથ ગ્રહણ સમારોહમાં આવવું જ પડશે.

તેમણે વધુમાં ઉમેર્યું કે, “આ ચૂંટણીની આ મારી છેલ્લી રેલી છે અને હું એ વિશ્વાસ સાથે જઈ રહ્યો છું કે 4 મેના રોજ હું ચોક્કસપણે ભાજપના શપથ ગ્રહણ સમારોહમાં સામેલ થઈશ. હેલિપેડથી અહીં સુધીના 2 કિલોમીટરના રસ્તામાં જે રીતે હજારો લોકો મને આશીર્વાદ આપવા ઉમટ્યા હતા, તેમણે મારો ઉત્સાહ બમણો કરી દીધો છે.

 

પીએમ મોદીએ કહ્યું કે, જ્યારથી મેં મારું ઘર છોડ્યું છે, ત્યારથી મને તમારી વચ્ચે રહીને જ ખુશી અને શાંતિ મળી છે. તમે જ મારો પરિવાર છો. છેલ્લા ત્રણ-ચાર દાયકાથી હું દેશના ખૂણે-ખૂણે ફરી રહ્યો છું અને પક્ષે મને જે પણ જવાબદારી આપી તેને મેં નિષ્ઠાપૂર્વક નિભાવી છે. તેમણે આ ચૂંટણી પ્રચારને અયોધ્યામાં રામલલાની પ્રાણ પ્રતિષ્ઠા સમયના 11 દિવસના અનુષ્ઠાન જેવો પવિત્ર અનુભવ ગણાવ્યો હતો.

 

ભારતના ભાગ્યોદય માટે ‘પૂર્વોદય’ જરૂરી

 

પ્રાચીન ભારતના ગૌરવનો ઉલ્લેખ કરતા પીએમ મોદીએ કહ્યું કે, ભૂતકાળમાં જ્યારે ભારત સમૃદ્ધ હતું ત્યારે તેના ત્રણ મજબૂત સ્તંભો હતા. અંગ (બિહાર), બંગ (બંગાળ) અને કલિંગ (ઓડિશા). જ્યારે આ સ્તંભો નબળા પડ્યા ત્યારે ભારતની શક્તિને ફટકો પડ્યો હતો. આજે વિકસિત ભારતના લક્ષ્‍ય માટે આ ત્રણેયનું મજબૂત હોવું અનિવાર્ય છે. ભારતના ભાગ્યોદયની સૌથી મોટી તાકાત ‘પૂર્વોદય’ (પૂર્વ ભારતનો વિકાસ) છે.

 

TMC પર આકરા પ્રહાર: “મહા-જંગલરાજ”

રાજ્યની વર્તમાન સ્થિતિ પર ચિંતા વ્યક્ત કરતા વડાપ્રધાને તૃણમૂલ કોંગ્રેસ પર આકરા પ્રહારો કર્યા હતા. તેમણે કહ્યું કે, એક તરફ રોજગાર આપતી મિલો બંધ થઈ રહી છે, તો બીજી તરફ ગુંડાઓને રોજગાર આપતી ‘કાચા બોમ્બ’ની ફેક્ટરીઓ ફૂલીફાલી રહી છે. બંગાળમાં TMC સિન્ડિકેટડ – ‘મહા-જંગલરાજ’ છે. બંગાળના નવ-નિર્માણ માટે ‘વંદે માતરમ’ના મંત્ર સાથે આગળ વધવું પડશે અને ભાજપ અહીં જનતા જનાર્દનનું શાસન લાવશે.

 

વડાપ્રધાને રેલીમાં સ્પષ્ટ કહ્યું કે, બંગાળને સુરક્ષિત કરવું અને તેને પડકારોમાંથી બચાવવું એ તેમનું ભાગ્ય અને જવાબદારી બંને છે, જેમાંથી તેઓ ક્યારેય પાછળ નહીં હટે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *