લગ્નનું ઘર રોશનીથી ઝગમગી રહ્યું હતું. ઢોલ-શરણાઈ વાગી રહી હતી અને સંબંધીઓ લગ્નની મજા માણી રહ્યા હતા. ફૂલોથી શણગારેલી કારમાં વરરાજા આઝાદ બિંદ પોતાની જિંદગીની સૌથી સુંદર સફર પર નીકળ્યા હતા. પણ કોણે વિચાર્યું હતું કે આ સફર સાત ફેરા સુધી નહીં, પણ મોતના દરવાજા સુધી પહોંચશે. વરરાજા કારમાં નીકળ્યા અને ઘરથી માત્ર 5 કિલોમીટર દૂર પહોંચ્યા, ત્યાં તેમની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી.
આ ઘટનાને દુલ્હનના જ એક સંબંધીએ અંજામ આપ્યો હતો.
વાજતે-ગાજતે નીકળી જાન
સરાયખ્વાજા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બડઅઉર ગામના રહેવાસી આઝાદ બિંદના લગ્ન ખેતાસરાય પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બીબીપુર ગામની યુવતી સાથે નક્કી થઈ હતી. ઘરમાં ખુશીનો માહોલ હતો. જાન વાજતે-ગાજતે ઘરેથી નીકળી હતી. વરરાજા ફૂલોથી શણગારેલી કારમાં બેઠા હતા અને પરિવારના લોકો પાછળ-પાછળ ચાલતા હતા. પણ ઘરથી લગભગ 5 કિલોમીટર દૂર નેશનલ હાઈવે પર પહેલેથી જ ઘાત લગાવીને બેઠેલા શખ્સો વરરાજાની રાહ જોઈ રહ્યા હતા.
બાઈક પર આવેલા હુમલાખોરોએ વરરાજાને મારી ગોળી
જ્યારે વરરાજાની કાર ત્યાં પહોંચી, બાઈક પર આવેલા હુમલાખોરોએ ફાયરિંગ શરૂ કરી દીધું. એક ગોળી કારની વિન્ડશીલ્ડ ચીરીને સીધી આઝાદની છાતીમાં ઘૂસી ગઈ. જ્યારે બીજી ગોળી જડબામાં ઘૂસી ગઈ. થોડી જ સેકન્ડમાં ખુશીઓ માહોલ મરણચીસોથી ગૂંજી ઉઠ્યો. જાનૈયાઓ કંઈ સમજે તે પહેલાં જ હુમલાખોરો અંધારાનો લાભ ઉઠાવીને ફરાર થઈ ગયા.
પરિવારજનોમાં શોકનું મોજુ ફરી વળ્યું
લોહીથી લથપથ આઝાદને તરત ખાનગી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. હાલત ગંભીર હોવાથી તેમને જિલ્લા હોસ્પિટલમાં રેફર કરવામાં આવ્યા, પણ ડોક્ટરોએ તેમને મૃત જાહેર કર્યા. વરરાજાની મોતના સમાચાર મળતાં જ પરિવારજનોમાં ધ્રુસકે-ધ્રુસકે રડવા લાગ્યા. જે ઘરમાં શરણાઈ વાગી રહી હતી, ત્યાં માતમ છવાઈ ગયો.
2 દિવસ પહેલા મળી હતી ધમકી
પોલીસે જ્યારે તપાસ શરૂ કરી, ત્યારે જાણવા મળ્યું કે દુલ્હનનો એક સંબંધી પ્રદીપ બિંદ આ લગ્નથી નારાજ હતો. તેણે આઝાદને બે દિવસ પહેલા જ લગ્ન ન કરવાની ધમકી આપી હતી. પોલીસે પૂછપરછ માટે દુલ્હનને પણ સ્ટેશન પર બોલાવી હતી. પોલીસની ટીમે દુલ્હનની કલાકો સુધી પૂછપરછ કરી. દુલ્હનનો મોબાઈલ પણ ચકાસવામાં આવ્યો. પૂછપરછ દરમિયાન દુલ્હને ખુલાસો કર્યો કે તેનો સંબંધી પ્રદીપ લગ્નથી નારાજ હતો, એટલે તેણે પોતાના મિત્ર સાથે મળીને આ ઘટનાને અંજામ આપ્યો.
પ્રદીપ બિંદનો ગુનાહિત ઇતિહાસ
પ્રદીપ બિંદનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે. તેના પર આરોપ છે કે તે અગાઉ પણ હત્યા કરી ચૂક્યો છે. જાન્યુઆરી 2025માં જૌનપુરના લાઇન બજાર પોલીસ સ્ટેશન વિસ્તારમાં રહેતા ગોપાલ શર્માની સુપારી આપી હત્યા કરાવવામાં આવી હતી. પ્રદીપે પોતાના 2 સાથીઓ સાથે મળીને 8 લાખ રૂપિયામાં આ ઘટનાને અંજામ આપ્યો હતો. પ્રદીપ અત્યારે જામીન પર બહાર હતો.
પોલીસે ઈનામ જાહેર કર્યું
મુખ્ય આરોપી પ્રદીપ બિંદ અને રવિ યાદવ ફરાર છે. બંને પર 25-25 હજાર રૂપિયાનું ઇનામ જાહેર કરવામાં આવ્યું છે. ત્રીજા આરોપી ભોલા રાજભરની પણ શોધ ચાલુ છે. જૌનપુર પોલીસની અનેક ટીમો સતત દરોડા પાડી રહી છે.
