વડાપ્રધાન નરેન્દ્ર મોદી આગામી 11 મેના રોજ ફરી એકવાર પોતાના વતન ગુજરાતની મુલાકાતે આવી રહ્યા છે. આ મુલાકાત પાટીદાર સમાજ અને રાજ્ય માટે અત્યંત ખાસ બની રહેશે, કારણ કે આ દિવસે પાટીદાર સમાજની 8 મોટી સંસ્થાઓ ભેગી મળીને પીએમ મોદીનું ‘સરદાર રત્ન’ એવોર્ડથી ભવ્ય સન્માન કરવાની છે.
ત્રિપલ તલાક અને રાષ્ટ્રહિતના કાર્યો બદલ સન્માન
પાટીદાર સમાજ દ્વારા પીએમ મોદીને આ સર્વોચ્ચ સન્માન ત્રિપલ તલાક નાબૂદી જેવા સામાજિક સુધારા અને રાષ્ટ્રહિતમાં કરેલી ઐતિહાસિક કામગીરી બદલ આપવામાં આવશે. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી, નાયબ મુખ્યમંત્રી તથા મંત્રીમંડળના સભ્યો અને પાટીદાર સમાજના અગ્રણીઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેશે.
સરદારધામ ભવન-3નું લોકાર્પણ
પીએમ મોદી આ પ્રવાસ દરમિયાન અમદાવાદ સ્થિત વૈષ્ણોદેવી સર્કલ પાસે નિર્માણ પામેલા ‘સરદારધામ ભવન-3’ (શ્રી દુષ્યંત એન્ડ દક્ષા પટેલ સંકુલ) નું લોકાર્પણ કરશે. અંદાજે 150 કરોડ રૂપિયાના ખર્ચે તૈયાર થયેલું આ સંકુલ પાટીદાર યુવાનોના શિક્ષણ અને કારકિર્દી માટે ગેમ ચેન્જર સાબિત થશે.
અત્યાધુનિક સુવિધાઓથી સજ્જ સંકુલ
આ ભવન માત્ર ઈમારત નથી, પણ સુવિધાઓનો ભંડાર છે જે 4 લાખ 75 હજાર સ્ક્વેર ફૂટમાં ફેલાયેલું આધુનિક સ્ટ્રક્ચર છે તો રહેવાની વ્યવસ્થામાં 278 લક્ઝુરિયસ રૂમ અને NRI અતિથિ ભવન તૈયાર કરાયું છે સાથે શિક્ષણ અને તાલીમ માટે ઈ-લાઈબ્રેરી, કારકિર્દી માર્ગદર્શન કેન્દ્ર અને ખાસ તાલીમ કેન્દ્ર પણ બનાવાયું છે. કાર્યક્રમો માટે 1000 વ્યક્તિઓની બેઠક ક્ષમતા ધરાવતો વિશાળ હોલ બનાવાયો છે.
પાટીદાર સમાજમાં ભારે ઉત્સાહ
આ લોકાર્પણ સાથે પાટીદાર સમાજ શિક્ષણ અને રોજગારના ક્ષેત્રમાં એક નવું સોપાન સર કરશે. પીએમ મોદીના હાથે આ ભવનના લોકાર્પણને લઈને પાટીદાર સમાજમાં ભારે ઉત્સાહ જોવા મળી રહ્યો છે.
