પત્ની પર એસિડ એટેક કરી જીવતી સળગાવવાનો પ્રયાસ કરનાર પતિને 7 વર્ષની સખત કેદની સજા

Spread the love
શહેરના ખોડિયારનગર વિસ્તારમાં ચાર વર્ષ પહેલાં બનેલી એક હચમચાવી દેનારી ઘટનામાં અમદાવાદની સેશન્સ કોર્ટે મહત્વનો ચુકાદો આપ્યો છે. લગ્નજીવનના કજીયાની અદાવતમાં પત્ની પર એસિડ એટેક કરી તેને દિવાસળી ચાંપી જીવતી સળગાવી દેવાનો પ્રયાસ કરનાર આરોપી પતિ જિતેન્દ્ર ઉર્ફે જીતુ ડાહ્યાભાઇ નાયકને એડિશનલ સેશન્સ જજ પી.આઇ.

પ્રજાપતિએ સાત વર્ષની સખત કેદની સજા અને રૂ. 1,000નો દંડ ફટકાર્યો છે. અદાલતે નોંધ્યું હતું કે ઘરગથ્થુ હિંસા (કલમ 498-એ)ના પૂરતા સ્વતંત્ર પુરાવા મળ્યા નથી, તેથી તેમાંથી પતિને મુક્ત કરવામાં આવે છે. પરંતુ, હત્યાના પ્રયાસ (IPC 307) નો ગુનો નિઃશંકપણે પુરવાર થાય છે. નોંધનીય છે કે, આ કેસમાં મસૂમ પુત્રોએ જુબાની આપી હતી. જેમાં જણાવ્યું હતું કે, મમ્મી સળગી હતી અને પપ્પાના હાથમાં કાચની બોટલ હતી.

 

બનાવની વિગતો મુજબ, ગત 3 મે 2020ના રોજ સવારે ખોડિયારનગર વિસ્તારમાં રહેતા આરોપી જિતેન્દ્ર નાયકે પૂર્વ આયોજિત કાવતરા મુજબ પત્ની પર હુમલો કર્યો હતો. જ્યારે પત્ની શૌચાલયમાંથી બહાર નીકળી ત્યારે પતિ જ્વલનશીલ પ્રવાહી (એસિડ) ભરેલી કાચની બોટલ સાથે તૈયાર ઊભો હતો. તેણે પત્ની પર આ પ્રવાહી છાંટી તુરંત દિવાસળી ચાંપી દીધી હતી. પત્ની ગંભીર રીતે દાઝી જતાં તેની ચીસાચીસ સાંભળી ઘરમાં સૂઈ રહેલા બે પુત્રો અને પાડોશીઓ દોડી આવ્યા હતા અને આગ બુઝાવી તેને સિવિલ હોસ્પિટલ ખસેડી હતી. આ મામલે નિકોલ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ હતી. જેમાં પોલીસે તપાસ કરી જિતેન્દ્ર નાયક સામે ચાર્જશીટ કરી હતી.

 

આ કેસના ટ્રાયલ દરમિયાન અધિક સરકારી વકીલ વિજયસિંહ ચાવડાએ ધારદાર દલીલો કરતા જણાવ્યું હતું કે આરોપીએ અમાનવીય રીતે પત્નીને મોતના ઘાટ ઉતારવાનો હીન પ્રયાસ કર્યો છે. આરોપીના બંને પુત્રોએ કોર્ટમાં પિતા વિરુદ્ધ મક્કમ જુબાની આપી હતી. તેમણે જણાવ્યું હતું કે માતાની બૂમો સાંભળી જ્યારે તેઓ જાગ્યા ત્યારે માતા સળગતી હાલતમાં હતી અને પિતાના હાથમાં કાચની બોટલ હતી. એફ.એસ.એલ રિપોર્ટમાં પીડિતાના કપડાં, અર્ધબળેલી દિવાસળી અને આરોપીના શર્ટ પરથી પેટ્રોલિયમ હાઇડ્રોકાર્બનના અંશો મળી આવ્યા હતા, જેણે વૈજ્ઞાનિક રીતે ગુનાની પુષ્ટિ કરી હતી. પત્નીને શરીરે 40% જેટલી ગંભીર દાઝવાની ઇજાઓ (Burn Injuries) થઈ હોવાનું મેડિકલ રિપોર્ટમાં સાબિત થયું હતું. ત્યારે સજા કરવી જોઇએ.

 

વિક્ટીમ કોમ્પેન્સેશન સ્કીમ હેઠળ વળતરની ભલામણ

 

ન્યાયાધીશે સજાની સાથે માનવીય અભિગમ દાખવતા પીડિત પત્નીને યોગ્ય આર્થિક સહાય મળે તેવો આદેશ પણ કર્યો છે. ક્રિમિનલ પ્રોસીજર કોડની કલમ-357-(એ)(૩) હેઠળ અમદાવાદ સિવિલ કોર્ટની લીગલ સર્વિસ કમિટીને આ પીડિતાને ‘વિક્ટીમ કોમ્પેન્સેશન સ્કીમ’ અંતર્ગત વળતર ચૂકવવા ભલામણ કરવામાં આવી છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *