વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત ‘રાષ્ટ્રીય પ્રાર્થના દિવસ’ કાર્યક્રમ દરમિયાન, હિન્દુ પરંપરાઓ અનુસાર શાંતિ અને એકતા માટે પ્રાર્થના કરવામાં આવી હતી. અમેરિકા તેની સ્વતંત્રતાના 250મા વર્ષ નજીક આવી રહ્યું છે, અને આવા સમયે આ કાર્યક્રમમાં ધાર્મિક વિવિધતા જોવા મળી હતી. BAPS (બોચાસણવાસી અક્ષર પુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા)ના એક સ્વયંસેવકે આ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને હિન્દુ પરંપરા અનુસાર પ્રાર્થના કરી હતી.
પ્રાર્થનાની શરૂઆત કરતા, સ્વયંસેવકે કહ્યું, ‘હું તમને બધાને વિનંતી કરું છું કે, કૃપા કરીને તમારી આંખો બંધ કરો અને તમારા હાથ જોડી રાખો.’ ત્યારપછી તેમણે વારંવાર શાંતિ મંત્રનો પાઠ કર્યો. આ પ્રાર્થનાની અંદર સમગ્ર વિશ્વ માટે શાંતિની માંગણી કરવામાં આવી.
વક્તાએ કહ્યું, ‘આકાશ અને અવકાશમાં શાંતિ રહે. પૃથ્વી પર, પાણીમાં અને તમામ જીવિત વસ્તુઓમાં શાંતિ બની રહે. પ્રકૃતિ અને પર્યાવરણમાં શાંતિ રહે. સ્વર્ગની શાંતિ સમગ્ર બ્રહ્માંડમાં ફેલાય જાય.’ તેમણે લોકોના અંગત જીવનમાં શાંતિ માટે પ્રાર્થના પણ કરી, ‘આપણે બધાને શારીરિક, માનસિક અને આધ્યાત્મિક શાંતિ મળે એવી પ્રાર્થના.’ અંતે, વક્તાએ આ તક આપી તે બદલ સંસ્થા તરફથી આભાર માન્યો. તેમણે કહ્યું, ‘સમગ્ર BAPS સમુદાય, રોબિન્સવિલ, ન્યુ જર્સીમાં સ્વામિનારાયણ અક્ષરધામ અને અમારા ગુરુ, ગુરુ હરિ મોહન સ્વામી મહારાજ વતી, અમે આ તક આપવા માટે આભાર માનીએ છીએ.’
BAPS પબ્લિક અફેર્સે સોશિયલ મીડિયા પર જણાવ્યું હતું કે, તેઓ વ્હાઇટ હાઉસ ખાતે આયોજિત રાષ્ટ્રીય પ્રાર્થના દિવસ કાર્યક્રમમાં ભાગ લેવા માટે સન્માનિત થયા છે. સંસ્થાએ કહ્યું કે, આવા પ્રસંગો આપણને યાદ અપાવે છે કે શ્રદ્ધા, સેવા અને સહિયારા મૂલ્યો સમાજને મજબૂત બનાવે છે. આ પહેલા, રાષ્ટ્રીય પ્રાર્થના દિવસ પરના પોતાના સંદેશમાં, રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે કહ્યું હતું કે, ‘આજે આપણે પ્રાર્થના, શ્રદ્ધા અને ભગવાનમાં વિશ્વાસની અમેરિકાની લાંબા સમયથી ચાલતી પરંપરાનું સન્માન કરીએ છીએ. અમેરિકાની સ્વતંત્રતાના 250 ગૌરવશાળી વર્ષોની ઉજવણી કરતી વખતે, આપણે આપણા દેશ અને લોકો પર ભગવાન દ્વારા આપવામાં આવેલા અસંખ્ય આશીર્વાદોને ક્યારેય ભૂલી ન જવાનો સંકલ્પ કરીએ છીએ.’
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, પ્રાચીન સભ્યતાઓથી લઈને યુરોપના ખ્રિસ્તી સામ્રાજ્યો અને યુનાઇટેડ સ્ટેટ્સની સ્થાપના સુધી, પશ્ચિમી વિશ્વનો ઇતિહાસ ભગવાનમાં શ્રદ્ધા સાથે જોડાયેલો રહ્યો છે. ટ્રમ્પે કહ્યું કે, આ શ્રદ્ધા અમેરિકાના સ્વતંત્રતા સંઘર્ષ દરમિયાન પણ સ્પષ્ટપણે દેખાતી હતી. તે સમયે, બીજી ખંડીય કોંગ્રેસે સ્વતંત્રતાની લડાઈમાં ભગવાનના આશીર્વાદ અને રક્ષણ મેળવવા માટે ઉપવાસ, પ્રાર્થના અને ચિંતનનો દિવસ જાહેર કર્યો હતો.
