ઈરાન યુદ્ધ અને વૈશ્વિક આર્થિક કટોકટી વચ્ચે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દેશવાસીઓને સોનું ન ખરીદવા અને પેટ્રોલડીઝલની બચત કરવા કરેલી અપીલ પર રાજકારણ ગરમાયું છે. કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીએ વડાપ્રધાનની આ સલાહ પર આકરા પ્રહાર કરતા જણાવ્યું છે કે, જનતા પાસે ત્યાગ માંગવો એ સરકારની આર્થિક નીતિઓની નિષ્ફળતા દર્શાવે છે.
રાહુલ ગાંધીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ‘એક્સ’ પર પોસ્ટ કરીને પીએમ મોદી પર નિશાન સાધ્યું હતું.
રાહુલ ગાંધીએ પીએમની અપીલને ગણાવી ‘નાકામી’
રાહુલ ગાંધીએ પીએમ મોદીની અપીલનો ઉલ્લેખ કરતા લખ્યું કે, જનતાને સોનું ન ખરીદવા, વિદેશ ન જવા અને પેટ્રોલ ઓછું વાપરવા કહેવું એ કોઈ ઉપદેશ નથી પણ સરકારની નબળાઈના પુરાવા છે. તેમણે ઉમેર્યું કે, 12 વર્ષના શાસન બાદ દેશને એવી સ્થિતિમાં લાવી દીધો છે જ્યાં જનતાને શું ખરીદવું અને શું ન ખરીદવું તે પણ સરકાર નક્કી કરી રહી છે. રાહુલના મતે, વડાપ્રધાન પોતાની જવાબદારી જનતા પર ઢોળી રહ્યા છે.
પીએમ મોદીએ હૈદરાબાદમાં કરી હતી અપીલ
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ હૈદરાબાદમાં એક જનસભા દરમિયાન દેશવાસીઓને વિનંતી કરી હતી કે તેઓ એક વર્ષ સુધી સોનું ન ખરીદે. તેમણે વિદેશી મુદ્રા ભંડારને બચાવવા માટે વર્ક ફ્રોમ હોમ, ઓનલાઇન મીટિંગ્સ અને મેટ્રોનો ઉપયોગ વધારવા પર ભાર મૂક્યો હતો. પીએમે કહ્યું હતું કે ઈરાન યુદ્ધને કારણે ઈંધણ મોંઘું થયું છે અને ખાતર પર મોટી સબસિડી આપવામાં આવી રહી છે, તેથી નાગરિકોએ રાષ્ટ્રહિતમાં સહયોગ આપવો જોઈએ.
કોંગ્રેસ નેતાએ આક્ષેપ કર્યો હતો કે વડાપ્રધાન દર વખતે પોતાની જવાબદારી જનતા પર નાખી દે છે જેથી તેઓ પોતે જવાબદેહીથી બચી શકે. તેમણે કહ્યું કે દેશ ચલાવવો હવે ‘કોમ્પ્રોમાઈઝડ પીએમ’ ના બસની વાત નથી. પીએમની આ અપીલ અને રાહુલ ગાંધીના વળતા પ્રહારથી દેશમાં આર્થિક નીતિઓ અને વધતી મોંઘવારી મુદ્દે ફરી એકવાર ચર્ચા તેજ બની છે.
