
ત્યારે આખરે કેવી રીતે રાજ્યસભામાં કોંગ્રેસનો સફાયો થશે તે રાજકીય ગણિત જોઈએ.
રાજ્યસભામાં ગુજરાતનો એકપણ સાંસદ ન જાય તેવી સ્થિતિ સર્જાઈ
રાજ્યસભાની ચાર બેઠકો માટે ગુજરાતમાં આગામી દિવસોમાં ચૂંટણી જાહેર થશે. 21 જૂનના રોજ કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ, નરહરી અમીન, રમીલાબેન બારા અને રામ મોકરીયા નિવૃત્ત થવાના છે. તેમની ટર્મ પૂરી થઈ રહી છે. જેમાં ભાજપના ત્રણ અને કોંગ્રેસમાંથી એક સભ્ય નિવૃત્ત થશે. ગુજરાત કોંગ્રેસના રાજ્યસભાના સાંસદ શક્તિસિંહ ગોહિલ છે. પરંતું હવે રાજ્યસભામાં ગુજરાતમાંથી કોંગ્રેસનો કોઈ સાંસદ ન જઈ શકે તેવી સ્થિતિ સર્જાય છે.
ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત રાજ્યસભામાં કોંગ્રેસનો કોઈ સાંસદ નહિ હોય
કોંગ્રેસનું વિધાનસભામાં સંખ્યા બળ 12 નું છે. એટલે રાજ્યસભાની આ ચારેય ખાલી પડનાર બેઠક ઉપર ભાજપના જ ઉમેદવારો જીતી શકે તેવી સ્થિતિ સર્જાય છે. ગુજરાતમાંથી રાજ્યસભાની કુલ 11 બેઠક છે. આ સ્થિતિમાં રાજ્યસભામાં ગુજરાતમાંથી કોંગ્રેસ મુક્ત બનશે. ગુજરાતના ઇતિહાસમાં પ્રથમ વખત રાજ્યસભામાં કોંગ્રેસનો કોઈ સાંસદ નહિ હોય.
કેમ કોંગ્રેસનો કોઈ સભ્ય રાજ્યસભામાં નહિ જાય, જાણો આ રાજકીય ગણિત
એક તરફ ભાજપે કોંગ્રેસના ધારાસભ્યો ખંખેરી લીધા છે. અથવા નવેસરથી ચૂંટણી કરાવી, જેને કારણે કોંગ્રેસનું સંખ્યાબળ ઘટીને 12 પર પહોંચી ગયું છે. એ જોતા કોંગ્રેસ પોતાના ઉમેદવારને રાજ્યસભામાં ચૂંટીને મોકલી શકે એ સ્થિતિમાં હવે નથી. કોંગ્રેસ પાસે સત્તાવાર વિપક્ષનો પણ દરજ્જો નથી. એક સમયે રાજ્યસભામાં કોંગ્રસની ત્રણ બેઠકો હતી, ત્રણમાંથી બે થઈ, અને હવે સાવ એક પર આવી ગઈ છે. હવે એ એક બેઠક પણ કોંગ્રેસના હાથમાંથી સરકશે, અને ભાજપની ઝોળીમાં જશે. આ સ્થિતિમાં રાજ્યસભામાં ગુજરાત કોંગ્રેસમુક્ત થઈ જશે.
કોંગ્રસ પાસે હતી એ પણ બેઠક ગુમાવશે
આમ, પહેલીવાર રાજ્યસભામાં ગુજરાત કોંગ્રેસ મુક્ત બનવા જઈ રહી છે. માત્ર 12 ધારાસભ્યો એક બેઠક પણ સાચવી શકે તેમ નથી. લોકસભામાં કોંગ્રેસ પાસે 26 માંથી માત્ર એક બેઠક છે. વિધાનસભામાં માત્ર 12 બેઠક હતી, રાજ્યસભામાં માત્ર એક બેઠક કોંગ્રેસ પાસે રહી હતી, હવે એ પણ નહિ હોય. આમ, લોકસભા, વિધાનસભા બાદ રાજ્યસભામાં પણ ગુજરાતમાં કોંગ્રેસનો સફાયો નિશ્ચિત બન્યો છે. સમ ખાવા પૂરતી એક બેઠક પણ નહિ મળે. હાથમાં હતી એ બેઠક પણ જતી રહેશે.
2017ની ચૂંટણી યાદગાર
એ વર્ષે રાજ્યસભાની કુલ 3 બેઠકો ખાલી પડી હતી. વિધાનસભાના સંખ્યાબળ મુજબ ભાજપને 2 અને કોંગ્રેસને 1 બેઠક મળે તેવું સાદું ગણિત હતું. ભાજપના 121 ધારાસભ્યો હતા. કોંગ્રેસના 57 ધારાસભ્યો હતા. જીતવા માટે દરેક ઉમેદવારે 44 મત મેળવવા જરૂરી હતા. પરંતુ ભાજપે ત્રણેય બેઠક માટે ઉમેદવારો જાહેર કર્યા. જેમાં અમિત શાહ, સ્મૃતિ ઈરાની અને કોંગ્રેસમાંથી આવેલાં બળવંતસિંહ રાજપૂત હતા. સામે કોંગ્રેસે દિગ્ગજ નેતા અને સોનિયા ગાંધીના વિશ્વાસુ અહમદ પટેલને ઉમેદવારી આપી હતી. એ ચૂંટણીમાં ભાજપે અહમદ પટેલને હરાવવા તમામ તાકાત કામે લગાડી હતી. મોડી રાત સુધી મત ગણતરી ચાલી હોય અને મધરાતે ચૂંટણી પંચ સુધી ફરિયાદો પહોંચી હોય એવી રાજ્યસભાની એ દેશભરની એકમાત્ર ચૂંટણી ગણાય છે. જેમાં અમિત શાહ, સ્મૃતિ ઈરાની ઉપરાંત અહમદ પટેલનો પણ વિજય થયો હતો.
ગુજરાતમાં રાજ્યસભામાં કોંગ્રેસનો સતત ઘસારો
ગુજરાતને રાજ્યસભાની કુલ 11 બેઠકો ફાળવાયેલી છે. ભાજપના શાસન પછી 2010 સુધી કોંગ્રેસ રાજ્યની 11 પૈકી 3-4 બેઠક મેળવતી હતી. પરંતુ પછી ભાજપે આક્રમકતા દાખવીને રાજ્યસભાની ચૂંટણી વખતે કોંગ્રેસના ધારાસભ્યોની તોડ-ફોડ શરૂ કરી એ પછી કોંગ્રેસની બેઠક ઘટીને 2 સુધી આવી ગઈ. છેલ્લાં દાયકાથી વિધાનસભામાં કોંગ્રેસનો કરુણ રકાસ સર્જાતા કોંગ્રેસને એકાદ બેઠકથી સંતોષ માનવો પડતો હતો. હવે એ એક બેઠક મળવાનું પણ અસંભવ બનવાનુંછે.