પેટ્રોલ-ડીઝલના ભાવમાં આવશે તોતિંગ વધારો? કેન્દ્રીય મંત્રી હરદીપ સિંહ પુરીએ આપ્યા મોટા સંકેત

Spread the love

હવે ખિસ્સા ખાલી કરવા તૈયાર રહેજો! તેલ કંપનીઓને દરરોજ ₹1,000 કરોડનું નુકસાન, ગમે ત્યારે વધશે ભાવ

ભારતમાં મોંઘવારીના મોરચે સામાન્ય જનતા માટે ચિંતાજનક સમાચાર સામે આવી રહ્યા છે. કેન્દ્રીય પેટ્રોલિયમ અને કુદરતી ગેસ મંત્રી હરદીપ સિંહ પુરીએ ઈંધણના ભાવ અંગે એક મહત્વનું નિવેદન આપ્યું છે, જેમાં તેમણે સ્પષ્ટ સંકેત આપ્યા છે કે આગામી સમયમાં પેટ્રોલ અને ડીઝલની કિંમતોમાં વધારો થઈ શકે છે.

CII એન્યુઅલ બિઝનેસ સમિટ 2026 માં બોલતા મંત્રીએ તેલ કંપનીઓની આર્થિક સ્થિતિ અને વૈશ્વિક તણાવ અંગે ખુલીને વાત કરી હતી.

 

 

 

શું ચૂંટણીઓને કારણે ભાવ રોકી રાખવામાં આવ્યા હતા?

 

છેલ્લા ઘણા સમયથી વિપક્ષ અને સામાન્ય જનતામાં એવી ચર્ચા હતી કે વિધાનસભાની ચૂંટણીઓને કારણે સરકારે પેટ્રોલ-ડીઝલના ભાવ વધાર્યા નથી. જોકે, હરદીપ પુરીએ આ દાવાઓને સદંતર ફગાવી દીધા છે. તેમણે કહ્યું કે, “પેટ્રોલ-ડીઝલના ભાવ અને ચૂંટણીઓને કોઈ લેવાદેવા નથી. અમે છેલ્લા ચાર વર્ષથી કિંમતોમાં વધારો કર્યો નથી, પરંતુ હું એવું નથી કહી રહ્યો કે ભવિષ્યમાં પણ ભાવ નહીં વધે.”

 

તેલ કંપનીઓને દરરોજ ₹1,000 કરોડનું નુકસાન

 

ભાવ વધારાના સંકેત પાછળનું સૌથી મોટું કારણ ઓઈલ માર્કેટિંગ કંપનીઓ (OMCs) ની ખરાબ નાણાકીય સ્થિતિ છે. મંત્રીએ ચોંકાવનારા આંકડા આપતા જણાવ્યું કે:

 

તેલ કંપનીઓ અત્યારે દરરોજ અંદાજે ₹1,000 કરોડનું જંગી નુકસાન વેઠી રહી છે.

 

કંપનીઓની અન્ડર-રિકવરી (ખર્ચ અને વેચાણ વચ્ચેનો તફાવત) ₹1,98,000 કરોડ સુધી પહોંચી ગઈ છે.

 

ચાલુ ત્રિમાસિક ગાળામાં કંપનીઓની ખોટ ₹1 લાખ કરોડને પાર કરી ગઈ છે.

 

પુરીએ ચિંતા વ્યક્ત કરી કે કંપનીઓ ગ્રાહકોને મોંઘવારીથી બચાવવા માટે અત્યાર સુધી આ આઘાત સહન કરી રહી છે, પરંતુ ગયા વર્ષે તેમણે જે નફો કર્યો હતો તે હવે પૂરો થઈ રહ્યો છે. કંપનીઓ ક્યાં સુધી આ નુકસાન સહન કરી શકશે તે એક મોટો પ્રશ્ન છે.

 

શું દેશમાં ઈંધણની અછત સર્જાશે?

 

ઈંધણની અછત અથવા ‘ડ્રાય આઉટ’ ની આશંકાઓને ફગાવી દેતા મંત્રીએ દેશવાસીઓને આશ્વાસન આપ્યું હતું. તેમણે કહ્યું કે સરકારે અત્યંત જવાબદારીપૂર્વક આ સંકટને સંભાળ્યું છે.

 

LPG (ગેસ) નું ઉત્પાદન જે પહેલા 35,000 ટન હતું, તે વધારીને હવે 55,000 થી 56,000 ટન કરવામાં આવ્યું છે.

 

દેશના લગભગ તમામ વિસ્તારોમાં ગેસનો પુરવઠો પૂર્વવત કરી દેવામાં આવ્યો છે અને ક્યાંય પણ ઈંધણ ખૂટી પડવાની સ્થિતિ નથી.

 

ભારત પાસે કેટલા દિવસનો સ્ટોક સુરક્ષિત છે?

 

કોઈપણ ઈમરજન્સી સ્થિતિને પહોંચી વળવા માટે ભારત પાસે પૂરતો ઊર્જા ભંડાર હોવાનું મંત્રીએ જણાવ્યું હતું. તેમના જણાવ્યા મુજબ:

 

૧. કાચું તેલ (Crude Oil): 60 દિવસનો સ્ટોક.

 

૨. LNG (નેચરલ ગેસ): 60 દિવસનો સ્ટોક.

 

૩. LPG (રસોઈ ગેસ): 45 દિવસનો સ્ટોક.

 

આ ભંડાર ભારતની મહત્તમ જરૂરિયાતોને પૂર્ણ કરવા માટે પૂરતો છે, જે કોઈપણ વૈશ્વિક કટોકટી સમયે દેશને સુરક્ષા પ્રદાન કરશે.

 

પીએમ મોદીનું વિઝન અને વૈશ્વિક યુદ્ધની અસરો

 

કેન્દ્રીય મંત્રીએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીના દૂરંદેશી વિઝનનો પણ ઉલ્લેખ કર્યો હતો. તેમણે જણાવ્યું કે પીએમ મોદીએ હાલના વૈશ્વિક તણાવ અને યુદ્ધ જેવી સ્થિતિ અંગે ચિંતા વ્યક્ત કરી છે. જો આ વૈશ્વિક સંઘર્ષો લાંબો સમય ચાલશે, તો દેશની રાજકોષીય ખાધ (Fiscal Deficit) અને આર્થિક સ્થિતિને નિયંત્રિત કરવા માટે સરકારને કડક નિર્ણયો લેવા પડી શકે છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *