“વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. રાજ્ય સરકાર દરેક વિદ્યાર્થીને ગુણવત્તાસભર શિક્ષણ અને યોગ્ય સુવિધાઓ મળે તે માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.” – આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયા
ધન્વંતરી આયુર્વેદ કોલેજ એન્ડ હોસ્પિટલ, કોયડમ, તા. વિરપુર, જી. મહિસાગર
ગુજરાત રાજ્યના મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલના માર્ગદર્શન હેઠળ તથા આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના વિદ્યાર્થીઓ પ્રત્યેના સંવેદનશીલ અભિગમને ધ્યાનમાં રાખી ધન્વંતરી આયુર્વેદ કોલેજ અને હોસ્પિટલ, કોયડમ ખાતે વિદ્યાર્થીઓના હિત અને શિક્ષણની ગુણવત્તા જળવાઈ રહે તે માટે રાજ્ય સરકાર દ્વારા જરૂરી કાર્યવાહી NCISM ના પરામર્શમાં હાથ ધરવામાં આવી રહી છે.
ભારતીય ચિકિત્સા પદ્ધતિ માટેની નેશનલ કમિશન (NCISM), નવી દિલ્હીની મેડિકલ એસેસમેન્ટ એન્ડ રેટિંગ બોર્ડ દ્વારા તા. 06/08/2025ના રોજ પાઠવાયેલા પત્રમાં કોલેજ અને હોસ્પિટલ સંબંધિત વિવિધ મુદ્દાઓનો ઉલ્લેખ કરવામાં આવ્યો હતો. ત્યારબાદ કેન્દ્ર સરકારના આયુષ વિભાગ દ્વારા તા. 18/11/2025ના રોજ ત્રણ સભ્યોની નિરીક્ષણ સમિતિ રચી સ્થળ નિરીક્ષણ હાથ ધરાયેલ હતું.
સમિતિએ કોલેજ તથા હોસ્પિટલની કામગીરી, વિદ્યાર્થીઓને મળતી સુવિધાઓ અને શિક્ષણ વ્યવસ્થાની વિગતવાર તપાસ કરી હતી. નિરીક્ષણ દરમિયાન હોસ્પિટલમાં દર્દીઓની હાજરી, સ્ટાફની ઉપલબ્ધતા તેમજ કેટલાક શૈક્ષણિક અને પ્રાયોગિક પાસાઓ અંગે ખામીઓ નોંધાઈ હતી. સાથે જ વિદ્યાર્થીઓ માટેની લાઇબ્રેરી, પ્રયોગશાળાઓ અને અન્ય જરૂરી સુવિધાઓમાં સુધારાની જરૂરિયાત પણ વ્યક્ત કરવામાં આવી હતી. તેમજ આ કોલેજમાં હવે વિદ્યાર્થીઓ આગળ અભ્યાસ કરી શકે તેમ નથી તે મુજબનો રિપોર્ટ આપવામાં આવ્યો હતો.
આ સમગ્ર બાબતને ગંભીરતાથી લઈ આજે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાના કાર્યાલય ખાતે ઉચ્ચસ્તરીય બેઠક યોજાઈ હતી. બેઠકમાં સંબંધિત અધિકારીઓ સાથે વિસ્તૃત ચર્ચા કરી વિદ્યાર્થીઓના હિતને પ્રથમ પ્રાથમિકતા આપવા તેમજ તાત્કાલિક જરૂરી કાર્યવાહી હાથ ધરવા સૂચનાઓ આપવામાં આવી હતી.
વાલીઓ દ્વારા કરવામાં આવેલી રજુઆતોને પણ ગંભીરતાથી ધ્યાનમાં લેવામાં આવી હતી. વિદ્યાર્થીઓના ભાવિ ભવિષ્ય અને અભ્યાસને કોઈપણ પ્રકારની અડચણ ન પડે તે હેતુથી અસરગ્રસ્ત વિદ્યાર્થીઓને અન્ય માન્ય કોલેજોમાં સમાવવામાં આવે તે અંગે પણ ચર્ચા-વિચારણા કરવામાં આવી હતી.
આ પ્રસંગે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનશેરિયાએ જણાવ્યું હતું કે,
*”વિદ્યાર્થીઓના ભવિષ્ય સાથે કોઈપણ પ્રકારનું સમાધાન કરવામાં આવશે નહીં. રાજ્ય સરકાર દરેક વિદ્યાર્થીને ગુણવત્તાસભર શિક્ષણ અને યોગ્ય સુવિધાઓ મળે તે માટે સંપૂર્ણ પ્રતિબદ્ધ છે.”*
રાજ્ય સરકાર દ્વારા સમગ્ર મામલે યોગ્ય, સંવેદનશીલ અને પારદર્શક અભિગમ અપનાવવામાં આવ્યો હોવાનું વ્યક્ત કરી વિદ્યાર્થીઓ તથા વાલીઓને વિશ્વાસ આપવામાં આવ્યો હતો.
