વિશ્વ ઉમિયાધામના પ્રમુખ આર.પી. પટેલે પાટીદારોને 3 બાળકો પેદા કરવાની આપી સલાહ, કારણ પણ જણાવ્યું

Spread the love

મહેસાણામાં આયોજિત એક કાર્યક્રમમાં હાજર રહેલા વિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખે સમાજની રજૂઆત કરતા સમયે કંઈક એવું કહ્યું કે, જેના પડઘા સમગ્ર રાજ્યમાં પડી રહ્યા છે. કડીમાં કડવા પાટીદાર 42 સમાજની નાઈટ ક્રિકેટ ટૂર્નામેન્ટ યોજાઈ હતી. મેચની ફાઈનલમાંવિશ્વ ઉમિયા ફાઉન્ડેશનના પ્રમુખ આર.પી. પટેલે પણ હાજરી આપી હતી. આ પ્રસંગે તેમણે પાટીદાર સમાજને સંબોધતા અત્યંત મહત્ત્વનું નિવેદન આપ્યું છે.

તેમણે સમાજમાં ચાલતા એક બાળકના ટ્રેન્ડ સામે ચિંતા વ્યક્ત કરી હતી. અને ભારપૂર્વક જણાવ્યું કે દરેક પરિવારે 3-3 સંતાનો પેદા કરવા જોઈએ. માત્ર એક સંતાન હોવાની વર્તમાન સ્થિતિ સામે તેમણે ગંભીર ચિંતાવ્યક્ત કરી છે. આ વાતથી કાર્યક્રમમાં હાજર લોકોમાં ભારે કુતૂહલ જોવા મળ્યું હતું.

 

આ પ્રસંગે તેમણે માત્ર એક સંતાન હોવા પર ચિંતા વ્યક્ત કરી સામાજિક સુરક્ષા પર ભાર મૂક્યો હતો તેમણે પોતાના સંબોધનમાં પાટીદારોને કહ્યું કે, ‘સમાજનો સંકલ્પ સાથે જ્યારે આપણે સમજીશું. ત્યારે સમાજને સાચી દિશામાં શક્તિશાળી બનાવી શકીશું. દરેકે ત્રણ બાળક પેદા કરવા જોઈએ. જેમાં એક બાળક પરિવાર માટે, એક ધર્મ માટે અને એક રાષ્ટ્ર માટે હોવું જોઈએ. આર્થિક સંપત્તિ વધતી જાય, મોટા-મોટા બંગલાઓ બનાવીએ અને બંગલામાં માત્ર એક જ દીકરો હોય. અને કદાચ કોઈ કારણોસર દીકરો અમેરિકા જતો રહ્યો, અને ન કરે નારાયણ કદાચ દીકરાને કોઈ પ્રોબ્લમ થયો તો પછી પરિવારનું શું? આવા અનેક પ્રશ્નો સાથે સામાજિક સુરક્ષાને લઈને વિશ્વ ઉમિયા ફાઉન્ડેશન જે કામ કરે છે, તે પ્રવૃત્તિઓને લઈને સતત માહિતગાર રહેવું જોઈએ.’

તેમણે કહ્યું કે, ‘આપણે માત્ર મંદિર નથી બનાવતા, સનાનત ધર્મના પ્રતીક રૂપે વિશ્વનું સૌથી ઉંચામાં ઉંચું શિવ શક્તિનું માતા પાર્વતીનું ઉમિયાજીનં 504 ફૂટ મંદિરું નિર્માણ, એ મંદિરના માધ્યમથી સામાજિક એક્તાને લઈને સમાજને સંગઠિત કરીને વિશ્વભરમાં પથરાયેલા પાટીદારોનું વૈશ્વિક સંગઠન બનાવીને સમાજની અનેકવિધ પ્રવૃત્તિઓ સાથે સમાજને શક્તિશાળી બનાવવા વિશ્વ ઉમિયાધામ કામ કરે છે.’

 

તેમણે પાટીદારોને વિશેષ સલાહ આપતા ભાર મૂક્યો, કારણે પાટીદારોમાં વિદેશ જવાનો મોહ વધારે હોય છે. મોટાભાગના પાટીદારો વિદેશ જવા માંગતા હોય છે. આવામાં તેઓએ કહ્યું કે, એક જ દીકરો હોય અને અમેરિકા જતો રહે કે કંઈ થઈ જાય તો પરિવારનું શું? આર.પી.પટેલે અમદાવાદમાં બની રહેલા 504 ફૂટ ઊંચા ઉમિયા માતાના મંદિરનો ઉલ્લેખ કર્યો. મંદિરના માધ્યમથી પાટીદાર સમાજને સંગઠિત અને શક્તિશાળી બનાવવાની હાકલ કરી હતી. તેમજ યુવાનોને રમતગમતની સાથે સમાજ નિર્માણમાં પણ યોગદાન આપવા અપીલ કરી હતી.

આ પહેલી વખત નથી, જ્યારે તેમણે આવી અપીલ કરી હોય. તેમણે ઓગસ્ટ 2025માં પણ આવું જ એક નિવેદન આપ્યું હતું. ન્યૂઝ18 ગુજરાતીના અહેવાલ મુજબ, તેમણે જણાવ્યું હતું કે, ‘પાટીદાર સમાજમાં વન ચાઈલ્ડ અને નો ચાઈલ્ડનો ટ્રેન્ડ વધી રહ્યો છે, જેના કારણે સમાજનું સંખ્યાબળ ધીરે ધીરે ઘટી રહ્યું છે. પાટીદાર સમાજના દંપતીએ હવે ઓછામાં ઓછા 3 થી 4 બાળકોને જન્મ આપવાની જરૂર છે, જેથી સમાજનું અસ્તિત્વ ટકી રહે અને આગામી પેઢી સમાજ માટે મજબૂત આધાર બની શકે.’

 

તેમણે કહ્યું હતું કે, જેમ જેમ પરિવાર નાના થવા લાગ્યા, તેમ-તેમ સમાજમાં કાકા, મામા કે ફૂવા જેવી પરંપરાગત સંબંધો વિલુપ્ત થવા લાગ્યા છે. આજે ઘણા ઘરોમાં આ સંબંધો જોવા પણ મળતા નથી. આગામી સમયમાં હાલત એવી બની શકે કે બજારમાં બોર્ડ લગાવવામાં આવે કે અહીં કાકા, મામા, ફૂવા ભાડે મળશે.’ તેમના મતે, જો સમાજમાં આ સંખ્યાબળ ઘટવાનું ચાલુ રહેશે તો તેની સીધી અસર સામાજિક અને રાજકીય શક્તિ પર પડશે.’

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *