નસીબ ચમકાવવા માટે મોંઘા નંગ પહેરવા જરૂરી નથી, જાણો નવગ્રહોના દોષોમાંથી મુક્તિ મેળવવાનો ‘દેશી જુગાડ’

Spread the love

જ્યોતિષશાસ્ત્રમાં કુંડળીના દોષોને જીવનમાં આવતી અસંખ્ય સમસ્યાઓનું મુખ્ય કારણ માનવામાં આવે છે. ઘણા લોકો ગ્રહોના આ દોષોના નિવારણ માટે મોંઘા રત્નો ધારણ કરતા હોય છે, પરંતુ કેટલાક લોકોને તે રત્નો ફળતા નથી , તો વળી કેટલાક લોકો આર્થિક મર્યાદાઓને કારણે તે ખરીદી શકતા નથી.

આવી સ્થિતિમાં જ્યોતિષશાસ્ત્રમાં કેટલાક અત્યંત સરળ અને અચૂક ઉપાયો સૂચવવામાં આવ્યા છે, જે મોંઘા રત્નો પહેર્યા વિના પણ ગ્રહોને મજબૂત બનાવી શકે છે.

ચાલો જાણીએ એવા સરળ જ્યોતિષીય ઉપાયો વિશે જે રત્નો વિના પણ તમારી કુંડળીના દોષોને દૂર કરવામાં મદદ કરશે.

 

સૂર્ય દોષ નિવારણના ઉપાયો

 

જો કુંડળીમાં સૂર્ય નબળો હોય તો વ્યક્તિને માન-સન્માનની કમી, આત્મવિશ્વાસનો અભાવ અને સરકારી કામોમાં અવરોધોનો સામનો કરવો પડે છે. સૂર્યને મજબૂત કરવા માટે દરરોજ સવારે તાંબાના લોટામાંથી સૂર્યદેવને અર્ઘ્ય અર્પણ કરો. આ જળમાં લાલ ફૂલ અને થોડો ગોળ ઉમેરવો શુભ માનવામાં આવે છે. આ સિવાય રવિવારે ઘઉં, ગોળ અને લાલ કપડાનું દાન કરવું પણ ઉત્તમ ગણાય છે.

 

ચંદ્ર દોષના સરળ ઉપાયો

 

નબળો ચંદ્ર વ્યક્તિમાં માનસિક તણાવ, ચિંતા અને અજાણ્યો ભય વધારે છે. ચંદ્ર દોષ દૂર કરવા માટે સોમવારે ભગવાન શિવ પર જલાભિષેક કરો અને ‘ઓમ સોમાય નમઃ’ મંત્રનો જાપ કરો. ચોખા, દૂધ અને ખાંડ જેવી સફેદ વસ્તુઓનું દાન કરવાથી પણ શુભ ફળ મળે છે. રાત્રે ચંદ્રદેવને દૂધની આહુતિ આપવી પણ કલ્યાણકારી માનવામાં આવે છે.

 

મંગળ દોષ માટેના ઉપાયો

 

મંગળ દોષને કારણે વ્યક્તિમાં ક્રોધ, લગ્નજીવનમાં તણાવ અને અકસ્માતનું જોખમ વધી જાય છે. મંગળના પ્રભાવને શાંત કરવા માટે મંગળવારે હનુમાનજીની પૂજા કરો અને સુંદરકાંડના પાઠ કરો. મંગળ દોષ ઘટાડવા માટે અડદની દાળ અને લાલ રંગના ફળોનું દાન કરવું મદદરૂપ બને છે. વાંદરાઓને ગોળ અને ચણા ખવડાવવા પણ ફાયદાકારક માનવામાં આવે છે.

 

બુધ ગ્રહને મજબૂત બનાવવાનો ઉપાય

 

જો કુંડળીમાં બુધ નબળો હોય તો વેપાર, શિક્ષણ અને વાતચીતની શૈલી પર નકારાત્મક અસર પડે છે. બુધને બળવાન બનાવવા માટે બુધવારે આખી લીલી મગની દાળ, લીલા શાકભાજી અને લીલા કપડાનું દાન કરો. ગાયને લીલો ચારો ખવડાવવો પણ અત્યંત શુભ માનવામાં આવે છે.

 

ગુરુ દોષ નિવારણના ઉપાયો

 

ગુરુ ગ્રહ નબળો હોવાને કારણે લગ્નમાં વિલંબ, શિક્ષણમાં અવરોધ અને આર્થિક સમસ્યાઓ વધી શકે છે. આવા સમયે ગુરુવારે પીળી વસ્તુઓનું દાન કરવું જોઈએ. કેળાના છોડની પૂજા કરવી અને જરૂરિયાતમંદોને ચણાની દાળ તથા હળદરનું દાન કરવું શુભ ગણાય છે. ગુરુ ગ્રહના મંત્રોનો જાપ કરવો પણ વિશેષ લાભદાયી નીવડે છે.

 

શુક્ર દોષ ઘટાડવાના ઉપાયો

 

શુક્ર ગ્રહને ભૌતિક સુખ-સુવિધા, સુખી દાંપત્યજીવન અને આકર્ષણનો કારક માનવામાં આવે છે. શુક્ર દોષથી મુક્તિ મેળવવા માટે શુક્રવારે દેવી લક્ષ્‍મીની આરાધના કરો અને તેમને સફેદ રંગની મીઠાઈનો ભોગ ધરાવો. નાની કન્યાઓને સફેદ કપડાં અથવા સૌંદર્ય પ્રસાધનો દાનમાં આપવી શુભ માનવામાં આવે છે.

 

શનિ દોષ દૂર કરવાના ઉપાયો

 

શનિનો દોષ જીવનમાં સંઘર્ષ, કામમાં વિલંબ અને આર્થિક તંગી વધારે છે. શનિવારે સાંજે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો ખૂબ જ શુભ ગણાય છે. ગરીબો અને અસહાય લોકોની મદદ કરવાથી તેમજ કાળા તલ અને અડદની દાળનું દાન કરવાથી શનિદેવ પ્રસન્ન થાય છે અને શનિ દોષ દૂર થાય છે.

 

રાહુ-કેતુ દોષ માટે અજમાવો આ આસાન ઉપાય

 

રાહુ અને કેતુના અશુભ પ્રભાવથી જીવનમાં ભ્રમ, માનસિક તણાવ અને અચાનક મુશ્કેલીઓ વધી જાય છે. આ દોષોને શાંત કરવા માટે ભગવાન ભૈરવ અને પ્રથમ પૂજ્ય ગણેશજીની પૂજા કરવી અતિ ફાયદાકારક માનવામાં આવે છે. આ ઉપરાંત પાણીવાળું નાળિયેર, ધાબળો અને કાળા તલનું દાન કરવું પણ શુભ ગણાય છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *