
માહિતી અનુસાર, ગુજરાત એસટી બસ અને મહારાષ્ટ્ર રાજ્ય પરિવહનની બસ વચ્ચે જોરદાર ટક્કર થઈ હતી.
અકસ્માત એટલો ભયાનક હતો કે ગુજરાત એસટીની બસ રસ્તા પર પલટી મારી ગઈ. મહારાષ્ટ્ર ડેપોની બસ ધુલિયાથી નવાપુર થઈને સુરત તરફ જઈ રહી હતી ત્યારે આ ઘટના બની હતી.
બસ પલટી જતાં તેમાં અચાનક આગ ફાટી નીકળી હતી. આગ ઝડપથી ફેલાતા મુસાફરોમાં અફરાતફરી મચી ગઈ હતી. પ્રાથમિક માહિતી મુજબ આગની ઘટનામાં 6 મુસાફરોના કરૂણ મોત થયા છે. જોકે, ઘાયલોની સ્થિતિને ધ્યાનમાં લેતા મૃત્યુઆંક વધવાની પણ આશંકા વ્યક્ત કરવામાં આવી રહી છે.
અકસ્માત બાદ મૃતકોના 6 મૃતદેહોને બારડોલીની પોસ્ટમોર્ટમ રૂમમાં ખસેડવામાં આવ્યા છે. ઘટનાની જાણ થતાં જ બારડોલી ફાયર બ્રિગેડ, પોલીસ અને સ્થાનિક પ્રશાસનની ટીમો તાત્કાલિક સ્થળ પર પહોંચી ગઈ હતી અને રાહત તથા બચાવ કામગીરી હાથ ધરી હતી.
અધિકારીઓ દ્વારા ઘાયલોને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા છે. અકસ્માતના ચોક્કસ કારણો જાણવા માટે પોલીસે વધુ તપાસ શરૂ કરી છે. સમગ્ર ઘટનાને લઈને સ્થાનિક લોકોમાં ભારે ચિંતા અને શોકની લાગણી જોવા મળી રહી છે.