મહેસાણાના શોભાસણ ગામ નજીક એક અત્યંત હૃદયદ્રાવક અને મોટી દુર્ઘટના સામે આવી છે.સાંજના સમયે રેલવે ટ્રેક ક્રોસ કરી રહેલા ત્રણ માસૂમ કિશોરો માલગાડીની અડફેટે આવી જતાં ત્રણેયના ઘટનાસ્થળે જ કરુણ મોત નીપજ્યા છે.આ ગમખ્વાર અકસ્માતને પગલે સમગ્ર પંથકમાં અરેરાટી વ્યાપી ગઈ છે અને મૃતકોના પરિવારો પર આભ તૂટી પડ્યું છે.
માલગાડીએ ત્રણેય મિત્રોને અડફેટે લીધા
મળતી વિગતો મુજબ, આ કાળમુખી ઘટના આજે સાંજે આશરે સાડા ચાર વાગ્યાની આસપાસ બની હતી.મૃતક ત્રણેય બાળકો શોભાસણ ગામના જ ઠાકોર વાસના રહેવાસી હતા અને અભ્યાસ કરતા હતા.રેલવે ટ્રેક ઓળંગતી વખતે પૂરપાટ ઝડપે આવી રહેલી માલગાડીએ ત્રણેય મિત્રોને પોતાની અડફેટે લીધા હતા.અકસ્માત એટલો ભયાનક હતો કે ત્રણેય કિશોરોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યા હતા.
શોભાસણ ગામમાં માતમ છવાઈ ગયો
એકસાથે ગામના ત્રણ આશાસ્પદ દીકરાઓના મોતથી શોભાસણ ગામમાં માતમ છવાઈ ગયો છે અને પરિવારોના આક્રંદથી વાતાવરણ ગમગીન બન્યું છે.ઘટનાની જાણ થતાં જ આસપાસના સ્થાનિક લોકો અને પોલીસનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી ગયો હતો.પોલીસે ત્રણેય કિશોરોના મૃતદેહોને પીએમ અર્થે હોસ્પિટલ ખસેડી અકસ્માત અંગે આગળની કાયદેસરની કાનૂની કાર્યવાહી હાથ ધરી છે.