PM Modiએ આર્થિક સલાહકાર પરિષદ બેઠક યોજી, વૈશ્વિક ઉથલપાથલ વચ્ચે વ્યૂહરચના પર મંથન

Spread the love
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આર્થિક સલાહકાર પરિષદ (EAC)ના સભ્યો સાથે મહત્વપૂર્ણ બેઠક યોજી. બેઠક દરમિયાન દેશના આર્થિક વિકાસને વધુ ગતિ આપવા માટે વિવિધ મુદ્દાઓ પર વિસ્તૃત ચર્ચા કરવામાં આવી. વૈશ્વિક સ્તરે સર્જાઈ રહેલી આર્થિક અને ભૂરાજકીય ઉથલપાથલ વચ્ચે ભારતની વિકાસયાત્રાને મજબૂત બનાવવા માટે જરૂરી વ્યૂહરચનાઓ પર મંથન કરવામાં આવ્યું.

નીતિગત સુધારાઓ અંગે વિચારવિમર્શ થયો

 

બેઠકમાં ભારતની અર્થવ્યવસ્થાને વધુ સશક્ત બનાવવા માટેના સંભવિત પગલાંઓ અને નીતિગત સુધારાઓ અંગે વિચારવિમર્શ થયો હતો. ખાસ કરીને સામાન્ય નાગરિકોના જીવનને વધુ સરળ બનાવવા માટે ‘ઈઝ ઓફ લિવિંગ’ સંબંધિત સુધારાઓ અને વેપાર-ઉદ્યોગોને પ્રોત્સાહન આપવા માટે ‘ઈઝ ઓફ ડૂઈંગ બિઝનેસ’ ક્ષેત્રે અમલમાં મૂકી શકાય તેવા નવા સુધારાઓ અંગે ચર્ચા કરવામાં આવી હતી.

 

ભારતની સ્થિતિ વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા

 

આર્થિક સલાહકાર પરિષદના સભ્યોએ વિવિધ ક્ષેત્રોમાં વિકાસને વેગ આપવા માટે પોતાના સૂચનો અને ભલામણો રજૂ કર્યા હતા. બેઠક દરમિયાન ટેકનોલોજી, રોકાણ, ઉત્પાદન, રોજગાર સર્જન તેમજ વૈશ્વિક સ્પર્ધાત્મકતામાં ભારતની સ્થિતિ વધુ મજબૂત બનાવવા અંગે પણ ચર્ચા થઈ હતી. આ ઉપરાંત પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષની ભારત અને વૈશ્વિક અર્થવ્યવસ્થા પર પડી રહેલી અસરનું પણ મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું. સભ્યોએ ઊર્જા સુરક્ષા, વેપાર માર્ગો, વૈશ્વિક સપ્લાય ચેઈન અને આંતરરાષ્ટ્રીય બજારો પર સંઘર્ષના સંભવિત પ્રભાવ અંગે પોતાના અભિપ્રાયો વ્યક્ત કર્યા હતા.

 

ભારતના હિતોને સુરક્ષિત રાખવા અને વૈશ્વિક પડકારોનો અસરકારક સામનો કરવા માટે જરૂરી પગલાંઓ અંગે પણ ચર્ચા કરવામાં આવી હતી. બેઠકમાં ઉદ્ભવેલા વિચારો અને સૂચનો ભારતના દીર્ઘકાલીન આર્થિક વિકાસને વધુ મજબૂત બનાવવા તેમજ વૈશ્વિક પડકારો વચ્ચે દેશને નવી તકોનો લાભ અપાવવામાં મદદરૂપ બનશે તેવી આશા વ્યક્ત કરવામાં આવી હતી.

 

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *