ગુજરાત સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ: મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના આદેશથી ૨૦૮ ફાર્મસી પર ત્રાટક્યું FDCA તંત્ર
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં રાજ્ય સરકારની ‘ઝીરો ટોલરન્સ’ નીતિ હેઠળ, નાગરિકોના સ્વાસ્થ્ય સાથે ચેડાં કરનારા અને કાયદાનું ઉલ્લંઘન કરનારા તત્વો સામે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. જેના ભાગરૂપે, આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાના માર્ગદર્શન હેઠળ ખોરાક અને ઔષધ નિયમન તંત્ર -FDCA દ્વારા રાજ્યભરમાં એક વિશેષ ડ્રાઇવ યોજવામાં આવી હતી. જેમાં નશા માટે દુરુપયોગ થઈ શકે તેવી દવાઓ જેવી કે કોડીન, અલ્પ્રાઝોલમ, નાઇટ્રાઝેપામ, ટ્રામાડોલ અને ઝોલપીડેમ વગેરેના ગેરકાયદે ખરીદ-વેચાણને રોકવાના હેતુથી આ ડ્રાઈવ યોજાઈ હતી.
આરોગ્ય રાજ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરીયાએ વિગતો આપતા ઉમેર્યું કે, આ વિશેષ ઝુંબેશ હેઠળ કુલ ૨૦૮ પેઢીઓમાં સઘન ચેકિંગ હાથ ધરાયું હતું. તેમાંથી હિસાબોમાં વિસંગતતા જણાતા ૧૩૧ પેઢીઓને કારણદર્શક નોટિસ ફટકારવાની કાર્યવાહી શરૂ કરાઈ છે, જ્યારે ગંભીર નિયમભંગ બદલ ૭૨ પેઢીઓના વેપાર પર તાત્કાલિક પ્રતિબંધ મૂકી ખરીદ-વેચાણ બંધ કરાવાયું છે. દવાઓની ગુણવત્તાના સચોટ મૂલ્યાંકન માટે તંત્ર દ્વારા ૫૫ સેમ્પલ પણ લેબોરેટરી ચકાસણી અર્થે લેવામાં આવ્યા છે.
પ્રિસ્ક્રિપ્શન વિના કે શંકાસ્પદ રીતે આવી દવાઓનું વેચાણ કરનારાઓ સામે તંત્ર લાલઆંખ કરશે. નિયમોનું ઉલ્લંઘન કરનારી ૧૩૧ પેઢીઓને કારણદર્શક નોટિસ આપ્યા બાદ લાયસન્સ સસ્પેન્ડ કે રદ કરવા સુધીની કડક વહીવટી કાર્યવાહી કરાશે. એટલું જ નહીં, ગંભીર ગુનાના કિસ્સામાં આવી પેઢીઓ વિરૂદ્ધ કાયદેસરની ફોજદારી કે કાનૂની પગલાં પણ ભરવામાં આવશે તેમ આરોગ્ય રાજ્ય મંત્રીશ્રીએ કડક શબ્દોમાં ચેતવણી આપતા જણાવ્યું હતું.
મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વ હેઠળ રાજ્ય સરકાર યુવાધનને નશાના દૂષણથી બચાવવા અને ફાર્મસી ક્ષેત્રે સંપૂર્ણ પારદર્શિતા સુનિશ્ચિત કરવા માટે કટિબદ્ધ છે તેમ આરોગ્ય રાજ્ય મંત્રીશ્રીએ વધુમાં જણાવ્યું હતું.
