શ્રી જનકભાઈ કોટકના સ્વર્ગવાસથી સમગ્ર ભાજપ પરિવાર તેમજ રાજકોટ શહેરે એક અનુભવી, લોકપ્રિય અને કર્તવ્યનિષ્ઠ આગેવાન ગુમાવ્યા હોવાની લાગણી વ્યક્ત કરતા શ્રી અમિતભાઈ શાહ
ગાંધીનગર લોકસભા ભાજપા મીડિયા વિભાગની અખબારી યાદીમાં જણાવ્યા પ્રમાણે કેન્દ્રીય ગૃહ તેમજ સહકાર મંત્રીશ્રી અમિતભાઈ શાહે રાજકોટ ભાજપના સંનિષ્ઠ – પીઢ આગેવાન અને મુકસેવક શ્રી જનકભાઈ કોટકના અવસાન અંગે ઉંડા દુઃખની લાગણી વ્યક્ત કરી હતી.
શ્રી શાહે ઘેરા શોકની લાગણી સાથે જણાવ્યું હતું કે શ્રી જનકભાઈ કોટક, રાજકોટ મહાનગરના મ્યુનિસિપલ કોર્પોરેશનમાં સાતથી વધુ વખત કોર્પોરેટર તરીકે ચૂંટાઈ આવેલ, પૂર્વ મેયર, પૂર્વ ડેપ્યુટી મેયર, પૂર્વ સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તથા જનસંઘથી લઈને ભારતીય જનતા પાર્ટી સુધીના સંગઠન જીવનના સાક્ષી અને આજીવન નિષ્ઠાપૂર્વક કાર્ય કરનાર પીઢ આગેવાન હતા. તેમના સ્વર્ગવાસથી સમગ્ર ભાજપ પરિવાર તેમજ રાજકોટ શહેરે એક અનુભવી, લોકપ્રિય અને કર્તવ્યનિષ્ઠ આગેવાન ગુમાવ્યા છે.
શ્રી જનકભાઈએ જાહેર જીવનમાં સાદગી, સમર્પણ, પ્રમાણિકતા અને સેવાભાવના ઉચ્ચ આદર્શો સ્થાપિત કર્યા હતા. તેમણે રાજકોટ શહેરના વિકાસ, સંગઠનના સશક્તિકરણ અને જનસેવાના ક્ષેત્રે આપેલું યોગદાન ચિરંજીવ રહેશે. કાર્યકર્તા તરીકેની તેમની નિષ્ઠા, સૌને સાથે લઈને ચાલવાની તેમની કાર્યશૈલી અને લોકહિત માટેનું તેમનું અવિરત સમર્પણ અનેક લોકો માટે પ્રેરણારૂપ બન્યું છે.
ઈશ્વર દિવંગત આત્માને પોતાના શ્રીચરણોમાં સ્થાન આપે તથા તેમના પરિવારજનો, સ્વજનો અને અસંખ્ય શુભેચ્છકોને આ દુઃખ સહન કરવાની શક્તિ પ્રદાન કરે તેવી પ્રાર્થના શ્રી શાહે વ્યક્ત કરી હતી.