નવી દિલ્હી, તા.23 ભારતે ચીન પરની આર્થિક નિર્ભરતા સંપૂર્ણપણે ખતમ કરવાના ઉદ્દેશ્યથી 26 મે 2026 ના રોજ અમેરિકા સાથે રેયર અર્થ મિનરલ્સ (કિંમતી ખનીજ)ની સપ્લાય ચેઈનને સુરક્ષિત કરવાનો કરાર કર્યો છે.
આ સાથે જ ભારત, અમેરિકા, જાપાન અને ઓસ્ટ્રેલિયા (ક્વાડ દેશો) એ આ સેક્ટરમાં માઈનિંગ, પ્રોસેસિંગ અને રિસાયક્લિંગ માટે 20 અબજ ડોલરનું રોકાણ કરવાનો લક્ષ્યાંક રાખ્યો છે.વિદેશ મંત્રી એસ જયશંકરે જણાવ્યું કે, આ ડીલનો હેતુ મહત્વપૂર્ણ ખનીજ સપ્લાય ચેઈનમાં પરસ્પર સહયોગ વધારવાનો છે. જ્યારે અમેરિકી વિદેશ મંત્રી માર્કો બિયોએ કહ્યું કે, ઉદ્યોગો માટે જરૂરી આ કિંમતી ખનીજોને ચીનના ભરોસે છોડી શકાય નહીં, કારણ કે કટોકટીના સમયે ચીન તેનાથી મોટી મુશ્કેલીઓ ઊભી કરી શકે છે..
લિથિયમ અને કોબાલ્ટ જેવા રેયર અર્થ મિનરલ્સનો ઉપયોગ ઈલેક્ટ્રિક કારની બેટરી, સેમિક્નડક્ટર ચિપ્સ, મિસાઈલ અને સ્માર્ટફોન બનાવવામાં થાય છે. હાલમાં દુનિયાના 80% પ્રોસેસિંગ અને 94% નિકાસ પર એકલું ચીન કંટ્રોલ ધરાવે છે. જ્યારે પણ કોઈ દેશ સાથે વિવાદ થાય ત્યારે ચીન આ ખનીજોની સપ્લાય અટકાવીને બ્લેકમેલિંગ કરે છે, જે આખી દુનિયા માટે ટેન્શન છે.
ચીનનો ઈજારો તોડવા માટે ભારતીય સરકારી કંપની KABIL એ આર્જેન્ટિનામાં 5 લિથિયમ બ્લોક વિકસાવવા કરાર કર્યા છે. આ ઉપરાંત ભારતે જાપાન, ઓસ્ટ્રેલિયા અને મ્યાનમાર સાથે પણ કરાર કર્યા છે. ભારત પાસે 70 લાખ ટનનો દુનિયાનો પાંચમો સૌથી મોટો ભંડાર છે, પરંતુ પ્રોસેસિંગ ટેકનોલોજીની અછત મોટો પડકાર છે.