પુણેના લોહગઢમાં કેતન અગ્રવાલની હત્યા કેસમાં હવે મહત્વપૂર્ણ વળાંક આવ્યો છે. મહારાષ્ટ્રના મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે કેસની ગંભીરતાને ધ્યાનમાં રાખીને મહત્વનો નિર્ણય લીધો છે. કેતનના પરિવારની માંગણી સ્વીકારીને તેમણે વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમને ખાસ સરકારી વકીલ તરીકે નિયુક્ત કરવાની પ્રક્રિયા શરૂ કરવા તેમજ કેસની સુનાવણી ફાસ્ટ ટ્રેક કોર્ટમાં ચલાવવાના નિર્દેશ આપ્યા છે.18 જૂનના રોજ કેતન અગ્રવાલનું લોહગઢ નજીક ખીણમાં પડી જવાથી મોત થયું હોવાનું પ્રાથમિક રીતે માનવામાં આવ્યું હતું. શરૂઆતમાં એવું લાગી રહ્યું હતું કે ફોટો પાડતી વખતે અકસ્માતે તે ખીણમાં પડી ગયો હતો. જોકે, પોલીસ તપાસ દરમિયાન સમગ્ર ઘટનાક્રમમાં ચોંકાવનારો ખુલાસો થયો હતો.
પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી
તપાસમાં સામે આવ્યું કે કેતનની થનારી પત્ની સિયા ગોયલ અને તેના પ્રેમી ચેતન ચૌધરીએ મળીને કાવતરું રચ્યું હતું. આરોપ છે કે બંનેએ કેતનને આશરે 400 ફૂટ ઊંડી ખીણમાં ધક્કો મારીને તેની હત્યા કરી હતી. પોલીસે બંને આરોપીઓની ધરપકડ કરી છે અને પૂછપરછ દરમિયાન બંનેએ ગુનાની કબૂલાત કરી હોવાનું તપાસ એજન્સીઓએ જણાવ્યું છે.
આ ઘટનાથી દુઃખી બનેલા કેતનના પિતા વિશાલ અગ્રવાલે પુણેમાં મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસ સાથે મુલાકાત કરી હતી. તેમણે પોતાના પુત્રને ન્યાય મળે તે માટે કેસમાં ઉજ્જવલ નિકમની ખાસ સરકારી વકીલ તરીકે નિમણૂક કરવાની તેમજ ફાસ્ટ ટ્રેક કોર્ટમાં કેસ ચલાવવાની માંગ કરી હતી.
ફડણવીસે પરિવારને વિશ્વાસ આપ્યો
મુખ્યમંત્રી કાર્યાલયે સોશિયલ મીડિયા પર માહિતી આપતા જણાવ્યું હતું કે સરકાર આરોપીઓને કડકમાં કડક સજા અપાવવા માટે પ્રતિબદ્ધ છે. મુખ્યમંત્રી દેવેન્દ્ર ફડણવીસે પરિવારને વિશ્વાસ આપ્યો હતો કે ન્યાય અપાવવામાં કોઈ કસર છોડવામાં આવશે નહીં. સાથે જ કાયદા અને ન્યાય વિભાગના સચિવને જરૂરી કાર્યવાહી માટે તાત્કાલિક સૂચના આપવામાં આવી છે. વરિષ્ઠ વકીલ ઉજ્જવલ નિકમે પણ આ કેસમાં ખાસ સરકારી વકીલ તરીકે સેવા આપવા સંમતિ આપી હોવાનું મુખ્યમંત્રી કાર્યાલયે જણાવ્યું છે.
