ચેન્નાઈ, તા. 3 તમિલનાડુની સત્તા સંભાળતાની સાથે જ મુખ્યમંત્રી `થલાપથી’ વિજયે એક મોટો અને કડક નિર્ણય લીધો છે. તેમણે અગાઉની ડીએમકે સરકારનાં હિન્દુ ધાર્મિક અને સખાવતી એન્ડોવમેન્ટ (HR&CE) વિભાગ હેઠળનાં રૂ. 245.85 કરોડના 46 કોમર્શિયલ પ્રોજેક્ટ્સની વહીવટી મંજૂરી તાત્કાલિક અસરથી રદ્દ કરી દીધી છે.
મુખ્યમંત્રીએ સ્પષ્ટ કર્યું છે કે મંદિરોનાં સંસાધનો અને પૈસાનો ઉપયોગ લગ્ન હોલ કે કોમર્શિયલ કોમ્પ્લેક્સ બનાવવા જેવા વ્યવસાયિક કામો માટે નહીં, પરંતુ માત્ર મંદિરોની જાળવણી અને ભક્તોની સુવિધાઓ માટે જ કરવામાં આવશે.અભિનેતામાંથી રાજનેતા બનેલાં જોસેફ વિજયે મે 2026ની વિધાનસભા ચૂંટણીમાં જીત મેળવીને તમિલનાડુના મુખ્યમંત્રી તરીકે શપથ લીધા હતા. સત્તામાં આવ્યાના ટૂંક જ સમયમાં તેમના કડક વહીવટી નિર્ણયોથી તેમણે વિપક્ષ અને જનતાને ચોંકાવી દીધાં છે.
તેઓ રોજ સવારે નિયત સમયે સચિવાલય પહોંચે છે અને પરંપરાગત વસ્ત્રોને બદલે બ્લેક શૂટમાં એક કોર્પોરેટ સીઈઓ જેવી આધુનિક કાર્યશૈલી અપનાવીને વહીવટી પારદર્શિતા પર ભાર મૂકી રહ્યાં છે.
સીએમ વિજયે સામાન્ય જનતા માટે અનેક કલ્યાણકારી યોજનાઓ પણ શરૂ કરી છે. સત્તા સંભાળ્યાના ગણતરીના કલાકોમાં જ તેમણે રાજ્યના 2.4 કરોડ પરિવારો માટે 200 યુનિટ મફત વીજળીની જાહેરાત કરી હતી.
આ ઉપરાંત, મહિલાઓ અને બાળકોની સુરક્ષા માટે `સિંગપ્પેન’ (સિંહણ) સ્પેશિયલ ટાસ્ક ફોર્સ અને નશાખોરી રોકવા માટે એન્ટી-ડ્રગ ટાસ્ક ફોર્સની રચના કરી છે, જ્યારે ધાર્મિક સ્થળો અને શાળાઓની નજીક આવેલી 717 દારૂની દુકાનો બંધ કરવાનો આદેશ આપ્યો છે.
આર્થિક મોરચે સીએમ વિજયે વર્ષ 2035 સુધીમાં તમિલનાડુની અર્થવ્યવસ્થાને 1.5 ટ્રિલિયન ડોલર બનાવવાનું લક્ષ્ય રાખ્યું છે, જેની નીતિ આયોગે પણ પ્રશંસા કરી છે. રાજ્યમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે તેમણે પોલીસને કોઈપણ રાજકીય દબાણ વગર ગુનેગારો સામે કડક પગલાં લેવાની ખુલ્લી છૂટ આપી છે.
આ સાથે જ ગરીબો માટે સસ્તી ભોજન યોજના (અમ્મા કેન્ટીન)ને આધુનિક બનાવવાની અને ખેડૂતો માટે કરોડો રૂપિયાના વિશેષ પેકેજની જાહેરાત પણ કરવામાં આવી છે.
