પ્રથમવાર સાઉથ કોરીયન ટેકનોલોજીથી રાજ્યમાં બનશે બે ‘એર-ફિલ્ડ રબર ડેમ’, 161 કરોડથી વધુનો થશે ખર્ચ

Spread the love

વડાપ્રધાન નરેન્દ્ર મોદીના ‘કેચ ધ રેઈન’ અભિયાનને વધુ વેગ આપવા મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ દ્વારા રાજ્યના છેવાડાના વિસ્તારો સુધી સિંચાઈ અને પાણીની સુવિધા સુદ્રઢ કરવાના ધ્યેય સાથે અનેકવિધ ભગીરથ પ્રયાસો હાથ ધરવામાં આવી રહ્યા છે. આ પ્રયાસના ભાગરૂપે છોટાઉદેપુર જિલ્લાના બોડેલી તાલુકાના રાજવાસણા ગામ નજીક હેરણ નદી પર અત્યાધુનિક ‘રાજવાસણા રબર ડેમ’ તેમજ તાપી જિલ્લામાં ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામે અંબિકા નદી પર આમ બે આધુનિક રબર ડેમ પ્રોજેક્ટને મંજૂરી આપવામાં આવી છે જે હાલમાં નિર્માણાધિન છે.જળ સંપત્તિ અને પાણી પુરવઠા મંત્રી ઈશ્વરસિંહ પટેલના માર્ગદર્શનમાં રાજવાસણા ખાતે અંદાજે 82.97 કરોડથી વધુના ખર્ચે તૈયાર થનાર આ અનોખો રબર ડેમ આગામી 30 મહિના એટલે કે સપ્ટેમ્બર 2027 સુધીમાં પૂર્ણ કરવાનું લક્ષ્‍ય નિર્ધારિત કર્યું છે. આ ડેમ તૈયાર થવાથી આજુબાજુના 25 ગામોના ખેડૂતોને સિંચાઈ માટે સીધો ફાયદો થશે. જ્યારે તાપીની અંબિકા નદી પર પાઠકવાડી ગામે 79 કરોડથી વધુના ખર્ચે જાપાનીઝ ડિઝાઈન આધારિત અદ્યતન ‘રબર ડેમ’ તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ ડેમ તૈયાર થવાથી અંદાજે 650 હેક્ટર જમીનને સિંચાઈનું પાણી મળશે જેનો સીધો ફાયદો સ્થાનિક ખેડૂતોને થશે.

 

રાજવાસણા રબર ડેમની વિશેષતા

 

આ પ્રોજેક્ટ અંતર્ગત હેરણ નદી પર 180 મીટરની લંબાઈ અને 3.5 મીટરની ઉંચાઈ ધરાવતું આધુનિક રબર બ્લેડર સ્થાપિત કરવામાં આવશે. આ રબર ડેમ ટેકનોલોજીની મુખ્ય ખાસિયત એ છે કે તેનાથી હયાત જુના આડબંધની પાણી સંગ્રહ ક્ષમતામાં અભૂપૂર્વ વધારો થશે અને કુલ ૩.૫ મિલિયન ક્યુબિક મીટર- MCM પાણીનો જથ્થો સંગ્રહિત કરી શકાશે. જેના પરિણામે આસપાસના વિસ્તારોના ભૂગર્ભ જળ સ્તર ખૂબ ઊંચા આવશે જેથી સરળતાથી સિંચાઈ અને પીવાનું પાણી ઉપલબ્ધ થશે. હાલની સ્થિતિએ આ ડેમનું 75 ટકા કામ પૂર્ણ થયું છે.

 

જુના આડબંધમાં જમા થતી રેતી અને કાંપને કારણે પાણીની સંગ્રહ ક્ષમતા ઘટતી હતી, હવે રબર ડેમ પદ્ધતિથી આ સિલ્ટનો સંપૂર્ણ નિકાલ શક્ય બનશે. પૂરથી રક્ષણ (Flood Control): ચોમાસા દરમિયાન ભારે પૂરની સ્થિતિમાં રબર ડેમને ‘ડીફ્લેટ’ (હવા કાઢીને બેસાડી) કરી શકાશે, જેથી પૂરના પાણીનો ઝડપી નિકાલ થતાં આસપાસના ગામોને નુકસાનથી બચાવી શકાશે. નદીના ડાબા કાંઠે 900 મીટર અને જમણા કાંઠે 500 મીટર લાંબી ફ્લડ પ્રોટેક્શન વોલ (સંરક્ષણ કાર્ય) પણ કરવામાં આવશે. આ કોન્ટ્રાક્ટમાં જ આગામી 10વર્ષ સુધી ઓપરેશન અને મેઇન્ટેનન્સ (O&M) નો સમાવેશ થાય છે, જેથી ટેકનિકલ સુવિધા અવિરત કાર્યરત રહેશે.

 

આ રબર ડેમ સાકાર થવાથી આડબંધ આધારિત નહેરો દ્વારા વિસ્તારના ખેડૂતોને રવી (શિયાળુ) અને ખરીફ (ચોમાસુ) એમ બંને સિઝનમાં ખેતી માટે પૂરતું પાણી મળી રહેશે. એટલું જ નહીં, ભવિષ્યમાં રાજવાસણા આડબંધ યોજનાની નહેરોને આસપાસના 25 જેટલા લાભદાયી ગામોના તળાવો સાથે જોડી દેવામાં આવશે. આ વધારાના પાણીથી ગામના તળાવો ભરાતા સમગ્ર પંથકમાં પીવાના અને સિંચાઈના પાણીની સમસ્યા કાયમ માટે ભૂતકાળ બની જશે.પ્રાકૃતિક સૌંદર્યથી ભરપૂર અને બારેમાસ વહેતી નદીઓ ધરાવતા દક્ષિણ ગુજરાતના તાપી જિલ્લામાં જળસંચય ક્ષેત્રે એક ઐતિહાસિક અને આધુનિક ક્રાંતિ થવા જઈ રહી છે. તાપી જિલ્લાના અંતરિયાળ એવા ડોલવણ તાલુકાના પાઠકવાડી ગામ પાસેથી પસાર થતી અંબિકા નદી પર સરકાર દ્વારા79.13 કરોડના ખર્ચે અદ્યતન ‘એર-ફિલ્ડ રબર ડેમ’ (હવા ભરેલા ડેમ) બનાવવાનું આયોજન હાથ ધરવામાં આવ્યું છે. આ યોજના સાકાર થતાં પાઠકવાડી સહિત ઢોડીયાવાડ, ઉનાઈ અને સિંધઈ જેવા ગામોના ખેડૂતોને ખરીફ તેમજ ઉનાળુ પાક માટે પૂરતું પાણી મળી રહેશે.વર્તમાનમાં આ ડેમની 90 ટકા કામગીરી પૂર્ણ થ‌ઈ છે.

 

તાપી જિલ્લાનો આ વિસ્તાર સમતળ હોવાના કારણે અને નદીના કાંઠા નીચા હોવાના કારણે અહીં પરંપરાગત રીતે વધારે ઊંચાઈ ધરાવતા ચેકડેમ કે વીયર સ્ટ્રક્ચરનું બાંધકામ શક્ય નહોતું. સ્થાનિક ખેડૂત આગેવાનો અને વ્યારાના ધારાસભ્ય મોહનભાઇ કોંકણીની રજૂઆતને પગલે વિભાગ દ્વારા સર્વેક્ષણ હાથ ધરાયું હતું. જેમાં પરંપરાગત બેરેજના બદલે વધુ જળસંગ્રહ ક્ષમતા ધરાવતી જાપાનીઝ ટેકનોલોજીનો ‘એર-ફિલ્ડ રબર ડેમ’ બનાવવાનો નવતર નિર્ણય લેવામાં આવ્યો છે.

 

આ અનોખા ડેમની સંપૂર્ણ ડિઝાઇન જાપાનીશ કોડ 2000 મુજબ કરવામાં આવી છે. આ પ્રોજેક્ટમાં વપરાનાર ખાસ પ્રકારનું રબર બ્લેડર દક્ષિણ કોરિયાથી મંગાવવામાં આવ્યું છે, જેની જાડાઈ 18 MM થી 32 MM સુધીની છે. આ રબર બ્લેડર 50 ડિગ્રીથી વધુ તાપમાનમાં પણ ઉત્તમ કામગીરી આપવા સક્ષમ છે અને તેનો આયુષ્યકાળ અંદાજીત 30 વર્ષ જેટલો લાંબો છે.

 

આ ડેમની સૌથી મોટી વિશિષ્ટતા એ છે કે તેમાં કોઈ મેનપાવર (માણસો) વગર SCADA ઓટોમેશન સીસ્ટમ દ્વારા કમ્પ્યુટરથી જ રબર બ્લેડરમાં હવા ભરવાનું (ઇન્ફ્લેટ) અને હવા ખાલી કરવાનું (ડિફ્લેટ) કાર્ય આસાનીથી થઈ શકશે. પરંપરાગત સ્ટીલ ગેટેડ ડેમની સરખામણીએ રબર ડેમ ચોમાસામાં પૂર દરમિયાન નદીના પ્રવાહને બિલકુલ અવરોધતો નથી, જેથી કાંઠાની જમીનનું ધોવાણ અટકશે. ઉપરાંત, રબરની હવા નીકાળી દેતાં નદીમાં તણાઈ આવતો કાંપ આસાનીથી વહી જશે, જેના કારણે ડેમની જળસંગ્રહ ક્ષમતા વર્ષો સુધી જળવાઈ રહેશે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *