સ્વિટ્ઝરલેન્ડ ફરવા ગયેલું ભારતીય કપલ ગાયબ! દીકરીએ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરી તો સામે આવ્યો 50 કરોડનો આ ‘ખેલ’

Spread the love

સ્વિટ્ઝરલેન્ડ ફરવા ગયેલા હૈદરાબાદના એક વેપારી અને તેમની પત્ની ગુમ થઈ ગયા છે. પોલીસ આ મામલાની ઊંડાણપૂર્વક તપાસ કરી રહી છે. સાથે જ એ પણ તપાસ કરી રહી છે કે આ દંપતીએ ઘણા રોકાણકારો પાસેથી આશરે 50 કરોડ રૂપિયા કેમ ભેગા કર્યા હતા. ગુમ થયેલ દંપતીની ઓળખ 51 વર્ષીય પબ્બા ચંદ્રશેખર અને તેમની 42 વર્ષીય પત્ની સ્વપ્ના તરીકે થઈ છે.તેમની દીકરી શ્રેયાના જણાવ્યા અનુસાર, બંને 22 જૂને સ્વિટ્ઝરલેન્ડ ફરવા ગયા હતા. પ્રવાસની શરૂઆતમાં તેઓ પરિવાર સાથે સંપર્કમાં હતા, પરંતુ 8 જુલાઈ પછી તેમનો કોઈ સંપર્ક થઈ શક્યો નથી. પરિવારના સભ્યોએ અનેક વખત સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ તેમના મોબાઈલ ફોન કાં તો બંધ હતા અથવા નેટવર્ક કવરેજ ક્ષેત્રની બહાર હતા.

 

સ્વિટ્ઝરલેન્ડ ફરવા ગયેલા માતા-પિતાની કોઈ ભાળ ન મળતા 23 વર્ષીય દીકરી પોલીસ સ્ટેશન પહોંચી છે અને સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરી છે. ત્યારબાદ પોલીસે ગુમ થવાનો કેસ નોંધી તપાસ શરૂ કરી છે. હાલમાં પોલીસ દંપતીનો પત્તો લગાવવા માટે તેમના ટ્રાવેલ પ્લાન, ઇમિગ્રેશનની માહિતી અને પૈસાની લેવડ-દેવડની તપાસ કરી રહી છે. વધુમાં, તપાસકર્તાઓ એ પણ જાણવાનો પ્રયાસ કરી રહ્યા છે કે શું દંપતી ખરેખર સ્વિટ્ઝરલેન્ડ ગયું હતું, જેનો દાવો કરવામાં આવ્યો છે.

 

50 કરોડ રૂપિયાના રોકાણના આરોપોની પણ તપાસ

 

તપાસ દરમિયાન એ વાત પણ સામે આવી છે કે ચંદ્રશેખર અને તેમની પત્નીએ છેલ્લા કેટલાક વર્ષોમાં 60થી વધુ લોકો પાસેથી આશરે 50 કરોડ રૂપિયા એકત્ર કર્યા હતા. આરોપ છે કે આ પૈસા સારા રિટર્નનો વાયદો આપીને અને અલગ-અલગ પર્સનલ અને બિઝનેસ જરૂરિયાતોના બહાને ભેગા કરવામાં આવ્યા હતા. જોકે, પોલીસે હજુ સુધી દંપતી વિરુદ્ધ છેતરપિંડીનો કોઈ કેસ નોંધ્યો નથી.

 

અધિકારીઓના કહેવા મુજબ, ગુમ થયેલા દંપતીનો મામલો હજુ તપાસના દાયરામાં છે અને અનેક શક્યતાઓ પર વિચાર કરવામાં આવી રહ્યો છે, જેમાં એ પણ સામેલ છે કે શું પતિ-પત્ની પોતાની મરજીથી ગુમ થયા છે, કે પછી આ મામલો કોઈ નાણાકીય છેતરપિંડી સાથે જોડાયેલો છે.

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *