ઉત્તર પ્રદેશના ફિરોઝાબાદ જિલ્લાના જિલ્લા અને સત્ર ન્યાયાલયે દોઢ વર્ષના આરવની હત્યા કેસમાં આરોપી વિરાજ ઉર્ફે જીતેન્દ્ર પાઠકને મૃત્યુદંડની સજા ફટકારી છે. પોલીસે ઘટનાના માત્ર 6 દિવસમાં ચાર્જશીટ દાખલ કરી હતી, જ્યારે કોર્ટે 40 દિવસમાં જ કેસનો ચુકાદો સંભળાવ્યો હતો.
આ ઘટના ફિરોઝાબાદના શિકોહાબાદ વિસ્તારની યાદવ કોલોનીમાં બની હતી. આરોપ છે કે બદાયૂંના રહેવાસી વિરાજ ઉર્ફે જીતેન્દ્ર પાઠકે દોઢ વર્ષના આરવને રસ્તા પર ફેંકીને નિર્દયતાથી મારી નાખ્યો હતો.આ ઘટનાથી સમગ્ર વિસ્તારમાં ભારે આક્રોશ ફેલાયો હતો અને પોલીસે તાત્કાલિક આરોપીની ધરપકડ કરી હતી.
કેસની સુનાવણી ઝડપી ગતિએ પૂર્ણ કરવામાં આવી હતી. અંતિમ દલીલો બાદ કોર્ટે આરોપીને દોષિત જાહેર કર્યો અને બીજા દિવસે બપોરે ભારે પોલીસ બંદોબસ્ત વચ્ચે તેને કોર્ટમાં રજૂ કરવામાં આવ્યો હતો. તમામ પુરાવા અને સાક્ષીઓના આધારે કોર્ટે આરોપીને મૃત્યુદંડની સજા ફટકારી હતી.
સરકારી વકીલ રાજીવ પ્રિયદર્શીના જણાવ્યા મુજબ, પોલીસે માત્ર છ દિવસમાં ચાર્જશીટ દાખલ કરી હોવાથી ટ્રાયલ ઝડપથી પૂર્ણ થઈ શકી હતી. તપાસ દરમિયાન એકત્ર કરાયેલા પુરાવા પણ કોર્ટમાં મજબૂત રીતે રજૂ કરવામાં આવ્યા હતા.
ફરિયાદ પક્ષે કુલ 13 સાક્ષીઓ રજૂ કર્યા હતા, જ્યારે બચાવ પક્ષ તરફથી માત્ર એક જ સાક્ષી રજૂ કરવામાં આવ્યો હતો. તમામ સાક્ષીઓના નિવેદનો અને ઉપલબ્ધ પુરાવાઓના આધારે કોર્ટે આરોપીને દોષિત ઠેરવીને સૌથી કડક સજા ફટકારી હતી.
સરકારી વકીલ રાજીવ પ્રિયદર્શીએ જણાવ્યું કે, સજા સંભળાવ્યા બાદ આરોપી વિરાજ ઉર્ફે જીતેન્દ્ર પાઠકે કોર્ટરૂમમાં પોતાને જ થપ્પડ મારવાનું શરૂ કર્યું હતું. તેમણે કહ્યું કે, આ અત્યંત જઘન્ય ગુનો હતો અને તમામ હકીકતોને ધ્યાનમાં રાખીને કોર્ટે મૃત્યુદંડની સજા ફટકારી છે. તેમણે વધુમાં જણાવ્યું કે, પોલીસની ઝડપી તપાસ અને ફરિયાદ પક્ષની અસરકારક કાર્યવાહીથી આ સમગ્ર કેસનો માત્ર 40 દિવસમાં નિકાલ શક્ય બન્યો.
