પશ્ચિમ એશિયામાં એકવાર ફરીથી સ્થિતિ ખુબ તણાવપૂર્ણ થઈ રહી છે. અમેરિકાએ હવે ઓમાનની ખાડીમાં આવેલા ઈરાનના વ્યૂહાત્મક રીતે અત્યંત મહત્વના ચાબહાર પોર્ટને તબાહ કર્યો હોવાનો દાવો કર્યો છે. આ પોર્ટ પર ભારત લાંબા સમયથી રોકાણ કરતું આવ્યું છે. મળતી માહિતી મુજબ અમેરિકાએ શુક્રવારે ચાબહાર બંદર પર ઓછામાં ઓછી 3 મિસાઈલ છોડી છે. સોશિયલ મીડિયામાં વાયરલ થયેલા વીડિયોમાં ચારેકોર તબાહી જોવા મળી રહી છે.અમેરિકી હુમલામાં બંદરનો એક નિગરાણી ટાવર તૂટી પડ્યો છે. અમેરિકી રક્ષા મંત્રી પીટ હેગસેથે પણ સોશિયલ મીડિયા પર આ હુમલાની તસવીર પણ શેર કરી છે. વીડિયોમાં ધૂમાડા અને ધૂળના ગોટેગોટા વચ્ચે એક ટાવર જેવી વસ્તુ તૂટતી જોવા મળી રહી છે. જો કે ઈરાની મીડિયાએ બંદરો પર સતત ત્રીજા દોરના હુમલાની પુષ્ટિ તો કરી છે પરંતુ ટાવરને નુકસાન થયાનો સત્તાવાર રીતે સ્વીકાર કર્યો નથી. છેલ્લા એક અઠવાડિયામાં ટાવર પર આ ત્રીજો હુમલો છે.
ભારત માટે ચાબહાર પોર્ટ મહત્વનું
અમેરિકાએ શુક્રવારે સતત છઠ્ઠી રાત ઈરાન પર એરસ્ટ્રાઈક કરી. આ દરમિયાન ભારતના રોકાણવાળા ચાબહાર પોર્ટને પણ નિશાન બનાવવામાં આવ્યો. હુમલામાં પોર્ટના કંટ્રોલ (નિગરાણી) ટાવરને નુકસાન પહોંચ્યું.
ચાબહાર પોર્ટ ભારત માટે વ્યૂહાત્મક રીતે ખુબ મહત્વનું છે. ભારતે તેના વિકાસમાં રોકાણ કર્યું છે અને તેનું સંચાલન ભારતીય કંપની ઈન્ડિયા પોર્ટ્સ ગ્લોબલ લિમિટેડ (IPGL) કરે છે.
આ બંદર ભારતને પાકિસ્તાનને બાયપાસ કરીને અફઘાનિસ્તાન અને મધ્ય એશિયા સુધી વેપારી પહોંચ ઉપલબ્ધ કરાવે છે.
ચાબહાર પોર્ટ ઈન્ટરનેશનલ નોર્થ-સાઉથ ટ્રાન્સપોર્ટ કોરિડોર તરીકે ખુબ મહત્વનો છે.
